પ્રભુ પાસ વાસ કરવા વિગત્યજી, વચન વા’લાનાં સર્વે માનવા સત્યજી

સુખ દુઃખ પડ્યે ન હારવી હિમત્યજી, માન અપમાને રાખવી એક મત્યજી

મતિ એક રતી નવ ફરે, આવે કાયાયે કોટિ કલેશ ।।

વ્યાકુળ થઈ વિપત્તિમાંહી, લોપે નહિ વચનને લેશ ।। ર ।।

જેણે સાબિત કીધું છે શીશ સાટે, હરિમરજીમાં મરી મટવા ।।

એવા જનને જોઈને, હરિ નહિ દિયે પાછો હટવા ।। ૩ ।।

પણ દેહાભિમાની દાસનો, ના’વે વાલમને વિશ્વાસ ।।

જાણે ખરું કે’તાં ખમી નહિ શકે, કાં જે નથી વચનમાં વાસ ।। ૪ ।।

હરિવચનમાં પડે વસમું, તો લોપતાં લેશ ભૂલે નહિ ।।

સુખ સદા રહે શરીરમાં, એમ સાબિત કીધું છે સહિ ।। પ ।।

તેને વચનમાં વરતતાં, કઠણથી કઠણ પડે ઘણું ।।

જેને લેવું છે સુખ આ લોકનું, નથી લેવું સુખ શ્રીહરિતણું ।। ૬ ।।

જેમ પશુઘાતકી ઘરનું પશુ, નીલી ચાર્ય પર નજર છે ।।

પણ કાતે કરી કંઠ કાપશે, તેની તેને કાંઈ ખબર છે ? ।। ૭ ।।

તેમ પશુવત પામર નરને, વિષયરૂપ ચાર્ય મળી ।।

નિષ્કુળાનંદ નિરભાગી નરને, દુઃખમાં સુખ મનાણું વળી ।। ૮ ।।