એમ બેમર્યાદી થઈ બગડેલીજી, ભકત ન કરવી મર્યાદા મેલીજી

એ તો પરઠણ કરી છે જો પે’લીજી, ન કરવું કામ કોઈ નિયમને ઠેલીજી

ઠેલી નિયમને કામ ન કરવું, મર હોય લાભ જો લાખનો ।।

તોય લલચાવિયે નહિ લેશ મનને, જાણિયે મવાળો કાખનો ।। ર ।।

વારે વારે આવી વારતા, માનજો સહુને મળતી નથી ।।

તે સ્વપ્ન સરખા સુખ સારુ, હારવી નહિ કહું હાથથી ।। ૩ ।।

શરીર કપાય મર સઘળું, થાય ટુકટુક મર તન ।।

પણ ન દેવું કપાવા નાકને, તેની રાખવી ઝાઝી જતન ।। ૪ ।।

જેમ શૂરવીરને સંગ્રામ માંહી, લાગે ઘટમાં ઘાવ કંઈ ।।

પણ ભાગતાં વાગે પૂઠે ભલકું, જાણો એ જેવું બીજું ભૂંડું નઈ ।। પ ।।

એમ ભકત થયો ભગવાનનો, પણ રહ્યો તે દેહનો જ દાસ ।।

કુળ લજાવ્યું છે કેસરીએ, જે ખાવા લાગ્યો મુખે ઘાસ ।। ૬ ।।

ઘરની ગોલીનો ગોલો થયો, રહ્યો હાથ જોડીને હજુર ।।

રાત દિવસ રાજી રાખવા, અતિ આખેપ રાખે છે ઉર ।। ૭ ।।

એવો ભકત ભગવાનને, કહો રાજી કરી કેમ શકે ।।

નિષ્કુળાનંદ કે’ નાદાર નર, ચડ્યો શરીરના સુખને ધકે ।। ૮ ।।