હરિના જનને જાણજો એહ ખોટ્યજી, ગુણ વિના ગણે છે મનમાં મોટ્યજી

તેમાં તો રહ્યા છે કલેશ કોટ્યજી, દગહીણા દીયે છે તેમાંહી દોટ્યજી

દોટ્ય દિયે છે ખોટ્ય ટાળવા, પણ ખોટ્ય રજ ખસતી નથી ।।

ઈર્ષ્યા રહી તેને આવરી, તે અળગી ન થાયે ઉરથી ।। ર ।।

ઈર્ષ્યા દેખે દોષ પરના, ભાળે નહિ પોતાની ભૂલ ।।

અમાપને જાય માપવા, વળી કરે અમૂલનું મૂલ ।। ૩ ।।

ત્રાજુ લઈ બેસે તોળવા, સહુનો કાઢવા સમાર ।।

બીજા થકી વળી બમણો, ભાળે પોતામાં ભાર ।। ૪ ।।

એવી અભાગણી ઈરષ્યા, જેને ગુરુ સંતની ગણતી નહિ ।।

વિનાશ એવો નહિ વિમુખ સંગથી, જેવો ઈર્ષ્યા કરે છે રહી ।। પ ।।

જે જળમાંહિ મળ  ટળે, તે જળમાં મળ ભૂંસે જઈ ।।

તેને શુદ્ધ થવા શરીરે કરી, ઉપાય એકે મળે નઈ ।। ૬ ।।

જેવી વચનદ્રોહીની ખોટ્ય વર્ણવી, તેવી જ માન માંહી રહી ।।

તેમ ઈર્ષ્યામાંહી ઓછી નથી, છે પરિપૂર્ણ માનો સહિ ।। ૭ ।।

હરિજનને હાણ હમેશે, ઈર્ષ્યા કરે છે ઉર તણી ।।

નિષ્કુળાનંદ કહે નિત્ય પ્રત્યે, ખાટ્ય નથી છે ખોટ્ય ઘણી ।। ૮ ।।