રાગ-સિંધુ રામગ્રી:- ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.
સંત સાચા તે કહિયે રે, કાઢે ખોટ્ય ખોળી ખોળી બા’ર;
અંતરમાં રહે ઊજળા, ડાઘ લાગવા ના’પે લગાર..સંત૦ ।। ૧ ।।
દેખે નહિ દોષ પારકા, ભાળે પોતાની ભૂલ;
ગણે અવગુણ આપણા, માને સંત હરિના અમૂલ..સંત૦ ।। ર ।।
સમજે સુખદાયી સંતને, દુઃખદાયી પોતાનું મન;
અરિ મિત્રને ઓળખી, તજે ભજે તે હરિજન..સંત૦ ।। ૩ ।।
અંતરે ન પડે અવળી, આંટી હરિ હરિજન સાથ;
નિષ્કુળાનંદ નિશ્ચે કરી, રીઝે એવા જનપર નાથ..સંત૦ ।। ૪ ।।