રાગ-સિંધુ રામગ્રી:-મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.

સંત સાચા તે કહિયે રે, કાઢે ખોટ્ય ખોળી ખોળી બા’ર;

અંતરમાં રહે ઊજળા, ડાઘ લાગવા ના’પે લગાર..સંત૦ ।। ૧ ।।

દેખે નહિ દોષ પારકા, ભાળે પોતાની ભૂલ;

ગણે અવગુણ આપણા, માને સંત હરિના અમૂલ..સંત૦ ।। ર ।।

સમજે સુખદાયી સંતને, દુઃખદાયી પોતાનું મન;

અરિ મિત્રને ઓળખી, તજે ભજે તે હરિજન..સંત૦ ।। ૩ ।।

અંતરે ન પડે અવળી, આંટી હરિ હરિજન સાથ;

નિષ્કુળાનંદ નિશ્ચે કરી, રીઝે એવા જનપર નાથ..સંત૦ ।। ૪ ।।