વચનવિધિ આ ગ્રંથ છે રૂડોજી, હરિવિમુખને લાગશે કૂડોજી

જેને પેરવો છે પરનરનો ચૂડોજી, તે તો કે’શે આ કવિ કાલૂડોજી

કાલુડાઈમાં ગ્રંથ કર્યો, તેમાં વગોવ્યા વિમુખ અતિ ।।

દીઠા દુઃખિયા વિમુખને, ત્યારે સનમુખ શી પામ્યા ગતિ ।। ર ।।

એમ કહી અભાગિયા, કોઈ વિમુખપણું તજતા નથી ।।

વચનદ્રોહીપણું દઢ કરી, હરિ કોઈ ભજતા નથી ।। ૩ ।।

હરિ ભજશે જન હરિના, માની મનમાં મોટા સુખને ।।

સદા રહેશે સત્સંગમાં, નહિ વસે પાસ વિમુખને ।। ૪ ।।

વિમુખથી રહી વેગળા, કરી લેશે પોતાના કામને ।।

સાચા સંતની શીખ લઈ, પામશે પ્રભુના ધામને ।। પ ।।

જે ધામને શુક સનકાદિક, વખાણે છે વારમવાર ।।

તે ધામને પામશે, વામશે સરવે વિકાર ।। ૬ ।।

અવશ્ય કરવાનું એ જ છે, તે કરી લેશે કારજ ।।

છેલ્લી શિખામણ સાંભળી, તેમાં ફેર નહિ રાખે એક રજ ।। ૭ ।।

પૂરણ સુખને પામવા,  એટલું  તો  ધારવું  ઉર ।।

નિષ્કુળાનંદ નિશ્ચે કરી, જોઈએ આ વાત જાણવી જરૂર ।। ૮ ।।