રાગ :-  પરજ

નિરધારી છે નિગમે વાતરે સંતો નિર૦ । થાયે ભક્તિયે હરિ રળિયાતરે; સંતો૦ ।। ટેક .

ભક્તિ વિના ભવ રોગ ન નાસે, રહે દુઃખ દિન રાત ।

ભક્તિ વિના ભટકણ ન ભાગે, સમઝી લેવું સાક્ષાતરે; સંતો૦ ।।૧।।

ભક્તિ કરીને ભક્ત હરિના, ઘણીઘણી ઉવૈયા ઘાત ।

ભક્તિ કરી ભારે ભાગ્ય જાગેછે, નથી એ વાત અખ્યાતરે; સંતો૦ ।।૨।।

ભક્તિ કરે તે ભક્ત હરિના, જોવી નહિ તેની જાત ।

ધન્ય ધન્ય એ જનનું જીવન, જેણે ભક્તિ કરી ભલી ભાતરે; સંતો૦ ।।૩।।

ભક્તિ કરી ખરી મોજ જેણે લીધી, તેણે થયા ભક્ત એ એકાંત ।

નિષ્કુલાનંદ કે’ નાથ મળીને, દીધી ભક્તિની દાતરે; સંતો૦ ।।૪।। પદ ।।૧૧।।