રાગ:– પરજ

સંતો મનમાં સમઝવા માટરે, કેદિ મેલવી નહિ એ વાટરે; સંતો૦ ।।

જોઇ જોઇને જોયુંછે સર્વે, વિવિધ ભાતે વિરાટ ।

ભક્તિ વિના ભવ ઉદભવનો, અળગો ન થાય ઉચ્ચાટરે; સંતો૦ ।।૧।।

તપ કરીને ત્રિલોકીનું કોય, પામે રૂડું રાજપાટ ।

અવધિયે અવશ્ય અખંડ ન રહે, તો શી થઇ એમાં ખાટ્યરે; સંતો૦ ।।૨।।

માટે ભક્તિ ભવભય હરણી, કરવી તે શીશને સાટ ।

તેહ વિના તને મને તપાસું, વાત ન બેઠી ઘાટરે; સંતો૦ ।।૩।।

ભક્તિથી કાયા જાણે છૈયે ડાહ્યા, એવું ડાહ્યાપણું પરૂં ડાટ ।

નિષ્કુલાનંદ કે’ ભક્તિ કરતાં, ઉઘડે અભય પદ હાટરે; સંતો૦ ।।૪।। પદ ।।૯।।