રાગ:– પરજ
સંતો મનમાં સમઝવા માટરે, કેદિ મેલવી નહિ એ વાટરે; સંતો૦ ।।
જોઇ જોઇને જોયુંછે સર્વે, વિવિધ ભાતે વિરાટ ।
ભક્તિ વિના ભવ ઉદભવનો, અળગો ન થાય ઉચ્ચાટરે; સંતો૦ ।।૧।।
તપ કરીને ત્રિલોકીનું કોય, પામે રૂડું રાજપાટ ।
અવધિયે અવશ્ય અખંડ ન રહે, તો શી થઇ એમાં ખાટ્યરે; સંતો૦ ।।૨।।
માટે ભક્તિ ભવભય હરણી, કરવી તે શીશને સાટ ।
તેહ વિના તને મને તપાસું, વાત ન બેઠી ઘાટરે; સંતો૦ ।।૩।।
ભક્તિથી કાયા જાણે છૈયે ડાહ્યા, એવું ડાહ્યાપણું પરૂં ડાટ ।
નિષ્કુલાનંદ કે’ ભક્તિ કરતાં, ઉઘડે અભય પદ હાટરે; સંતો૦ ।।૪।। પદ ।।૯।।