રાગ:- બિહાગડો
ભજો ભક્તિ કરી ભગવાનરે સંતો ભજો૦, માનો એટલું હિત વચનરે, સંતો૦ । ટેક-
ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે, જાણી લેજો સહુ જન ।
ભક્તિ વિના ભવદુઃખ ન ભાગે, એ પણ માનવું મનરે; સંતો૦ ।।૧।।
ભક્તિ વિના ભટકણ ન ટળે, મર કરે કોટિક જતન ।
ભક્તિ વિના નિર્ભય નર નહિ, કરે સોસો જો સાધનરે; સંતો૦ ।।૨।।
ભક્તિ ભંડાર અપાર સુખનો, નિર્ધનિયાનું એ ધન ।
જે પામી ન રહે પામવું, એવું એ સુખસદનરે; સંતો૦ ।।૩।।
તે ભક્તિ તન માનવે થાયે, નહિ અન્ય તન કરવા સંપન ।
નિષ્કુલાનંદ કે’ નિરાશ થઇને, કરો હરિસેવનરે; સંતો૦ ।।૪।। પદ।। ૮।।