રાગ:- બિહાગડો

ભજો ભક્તિ કરી ભગવાનરે સંતો ભજો૦, માનો એટલું હિત વચનરે, સંતો૦ । ટેક-

ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે, જાણી લેજો સહુ જન ।

ભક્તિ વિના ભવદુઃખ ન ભાગે, એ પણ માનવું મનરે; સંતો૦ ।।૧।।

ભક્તિ વિના ભટકણ ન ટળે, મર કરે કોટિક જતન ।

ભક્તિ વિના નિર્ભય નર નહિ, કરે સોસો જો સાધનરે; સંતો૦ ।।૨।।

ભક્તિ ભંડાર અપાર સુખનો, નિર્ધનિયાનું એ ધન ।

જે પામી ન રહે પામવું, એવું એ સુખસદનરે; સંતો૦ ।।૩।।

તે ભક્તિ તન માનવે થાયે, નહિ અન્ય તન કરવા સંપન ।

નિષ્કુલાનંદ કે’ નિરાશ થઇને, કરો હરિસેવનરે; સંતો૦ ।।૪।। પદ।। ૮।।