રાગ:- બિહાગડો

ભક્તિનિધિનો ભંડારરે સંતો ભક્તિ, તેને શું કહું હું વારમવારરે; સંતો૦ ।

ભક્તિ કરીને કંઇ સુખ પામ્યા, નર અમર અપાર ।

સુર નર મુનિજન સૌ કોઇ મનમાં, સમજયા ભક્તિમાં સારરે; સંતો૦ ।।૧।।

ઋષિ તપસી વનવાસી ઉદાસી, ભાળે ભક્તિમાં ભાર ।

જાણે સેવા કેમ મળે હરિની, અંતરે એવો વિચારરે; સંતો૦ ।।૨।।

આદિ અંતે મધ્યે મોટપ્ય પામ્યા, તેતો ભક્તિ થકી નિરધાર ।

ભક્તિ વિના ભટકણ ન ટળે, ભમવાનું ભવ મોઝારરે; સંતો૦ ।।૩।।

તેહ ભક્તિ પ્રગટની પ્રીછજો, અતિ અનુપ ઉદાર ।

નિષ્કુલાનંદ નકી એ વારતા, તેમાં નહિ ફેરફારરે; સંતો૦ ।।૪।। પદ ।।૭।।