રાગ:- આશાવરી

સંતો અણસમઝે એમ બને, તેતો સમઝુને સમઝવું મનેરે; સંતો૦ । ટેક

ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ નિશદિને ।

અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુન્હેગાર વણગુન્હેરે; સંતો૦ ।।૧।।

શ્રીખંડ સદા શિતળ સુખકારી, તેને દઝાડે કોઇ દહને ।

અગર પણ થાય અંગારા, પ્રજાળે પ્રવરી વનેરે; સંતો૦ ।।૨।।

કલ્પતરુ મળે માગ્યો કુઠારો, દુર્મતિ થાવા દુઃખને ।

જેવું ઇચ્છે તેવું મળે એમાંથી, નો તપાસે એ સુરતરનેરે; સંતો૦ ।।૩।।

એમ શઠ સુખદથી સારૂં ન ઇચ્છે, કોઇ પ્રગટ્યે થર પાપને ।

નિષ્કુલાનંદ કે’ ન જોવું એનું, પ્રકટ ભજવા આપનેરે; સંતો૦ ।।૪।। પદ ।।૩।।