રાગ:- આશાવરી
સંતો જુવો મનમાં વિચારી, સાચી ભક્તિ સદા સુખકારીરે; સંતો૦ ટેક
જૂઠી ભક્તિ જક્તમાં કરેછે, સમઝયા વિના સંસારી ।
ખોવા રોગ ખાયછે રસાયણ, દિધા વિના દરદારીરે; સંતો૦ ।।૧।।
વણ પૂછે વળી ચાલેછે વાટે, જે વાટે નહિ અન્ન વારી ।
નહિ પો’ચાયે નહિ વળાયે પાછું, થાશે ખરી જો ખુવારીરે; સંતો૦ ।।૨।।
આ ભવમાં ભૂલવણી છે ભારે, તેમાં ભૂલ્યાં નરનારી ।
જિયાં તિયાં આ જનમ જાણજો, હરિભક્તિ વિના બેઠાં હારીરે; સંતો૦ ।।૩।।
ભક્તિ વિના ભવપાર ન આવે, સમઝો એ વાત છે સારી ।
નિષ્કુલાનંદ કહે નિર્ભય થાવા, ભક્તિનિધિ અતિ ભારીરે; સંતો૦ ।।૪।। પદ ।।૨।।