રાગ:- આશાવરી

સંતો જુવો મનમાં વિચારી, સાચી ભક્તિ સદા સુખકારીરે; સંતો૦ ટેક

જૂઠી ભક્તિ જક્તમાં કરેછે, સમઝયા વિના સંસારી ।

ખોવા રોગ ખાયછે રસાયણ, દિધા વિના દરદારીરે; સંતો૦ ।।૧।।

વણ પૂછે વળી ચાલેછે વાટે, જે વાટે નહિ અન્ન વારી ।

નહિ પો’ચાયે નહિ વળાયે પાછું, થાશે ખરી જો ખુવારીરે; સંતો૦ ।।૨।।

આ ભવમાં ભૂલવણી છે ભારે, તેમાં ભૂલ્યાં નરનારી ।

જિયાં તિયાં આ જનમ જાણજો, હરિભક્તિ વિના બેઠાં હારીરે; સંતો૦ ।।૩।।

ભક્તિ વિના ભવપાર ન આવે, સમઝો એ વાત છે સારી ।

નિષ્કુલાનંદ કહે  નિર્ભય થાવા, ભક્તિનિધિ અતિ ભારીરે; સંતો૦ ।।૪।। પદ ।।૨।।