રાગ:- બિહાગડો
સરલ વરતવે છે સારૂંરે મનવા સરલ, માની એટલું વચન મારૂંરે મનવા૦ ટેક –
મન કર્મ વચને માનનેરે મેલી, કાઢ્ય અભિમાન બા’રૂં ।
હાથ જોડી હાજીહાજી કરતાં, કેદી ન બગડે તે તારૂંરે; મનવા૦ ।।૧।।
આકડ નર લાકડ સૂકાસમ, એને વળવા ઉધારૂં ।
તેને તાપ આપી અતિ તીખો, સમું કરેછે સુતારૂંરે; મનવા૦ ।।૨।।
આંકડો વાંકડો વિંછીના સરખો, એવો ન રાખવો વારૂં ।
દેખી દૃગે કોઇ દયા ન આણે, પડે માથામાં પેજારૂંરે; મનવા૦ ।।૩।।
હેતનાં વચન ધારી લૈયે હૈયે, શું કહિયે વાતો હજારૂં ।
નિષ્કુલાનંદ નિજકારજ કરવા, રાખિયે નહિ અંધારૂંરે; મનવા૦ ।।૪।। પદ ।।૫।।