રાગ:- બિહાગડો

સરલ વરતવે છે સારૂંરે મનવા સરલ, માની એટલું વચન મારૂંરે મનવા૦ ટેક –

મન કર્મ વચને માનનેરે મેલી, કાઢ્ય અભિમાન બા’રૂં ।

હાથ જોડી હાજીહાજી કરતાં, કેદી ન બગડે તે તારૂંરે; મનવા૦ ।।૧।।

આકડ નર લાકડ સૂકાસમ, એને વળવા ઉધારૂં ।

તેને તાપ આપી અતિ તીખો, સમું કરેછે સુતારૂંરે; મનવા૦ ।।૨।।

આંકડો વાંકડો વિંછીના સરખો, એવો ન રાખવો વારૂં ।

દેખી દૃગે કોઇ દયા ન આણે, પડે માથામાં પેજારૂંરે; મનવા૦ ।।૩।।

હેતનાં વચન ધારી લૈયે હૈયે, શું કહિયે વાતો હજારૂં ।

નિષ્કુલાનંદ નિજકારજ કરવા, રાખિયે નહિ અંધારૂંરે; મનવા૦ ।।૪।। પદ ।।૫।।