રાગ :- ધોળ વધામણાનું

ભક્તિ છે ભવજળ વહાણ, સિંધુ તરવા સુખરૂપછે એ । સમઝીને જુવો સુજાણ, પાર ઉતરવા એ અનુપ છે એ ।।૧।।

રાગ :- ઢાળ

એહ નાવથી જો અપાર, ઉતરિયા અર્ણવને એ । ન થાય તેનો નિરધાર, તો શું કરું તેના વર્ણવને એ ।।૨।।

ચ્ચ ને નીચ અનંત, પાર સહુને પોત કરે એ । એમ ભક્તિથી જાણજો જન, સુખ કાંઇ પામ્યા સરે એ ।।૩।।

ધન્ય એ ભક્તિ ઝાજ, તારી તરીયે તીર કર્યાં એ । પામિયા સુખ સમાજ, તે ભક્તિ પ્લવે તર્યા એ ।।૪।।

બેઠા એ બેડીનેમાંયે, બુડવાની તો બીક ટળી એ । કરવું રહ્યું નહિ કાંય, બ્રહ્મમોહોલમાં બેઠા ભળી એ ।।૫।।

સંતને એ સુખરૂપ, હોડી રૂડી હરિભગતિ એ । કોણ ભિક્ષુ કોણ ભૂપ, સહુને આપે એ શુભ ગતિ એ ।।૬।।

એહ વિના નર નિરધાર, પાર તે કોઇ પામ્યા નહિ એ । શું કહિયે વારમવાર, સહુ સમઝીને કરો સહિ એ ।।૭।।

વખાણી વા’ણને તોલ, ભક્તિ અતિ ભવ તરવા એ । ભાગે આવે બ્રહ્મમો’લ, કેડે ન રહે કાંઇ કરવા એ ।।૮।।

ભક્તિથી નર અમર, અસુર પણ ઉદ્ધર્યા કંઇ એ । સદા સુખ થાવાનું ઘર, ભક્તિ વિના ભાળ્યું નઇ એ ।।૯।।

ભક્તિ વશ્ય  ભગવાન, આવેછે અક્ષરધામથી એ । નક્કી એ વાત નિદાન, જૂઠી જરાયભાર નથી એ ।।૧૦।।

જેજે ધર્યા અવતાર, તે ભક્તની ભક્તિ જોઇને એ । નથી થાતો નિરધાર, જે આવે જાણ્યા બીજા કોઇથી એ ।।૧૧।।

જોઇ લીધું છે જરૂર, અવિનાશીનું આંહી આવવું એ । ભક્તિ ભાળી ભરપુર, ભક્તનું દુઃખ નસાવવું એ ।।૧૨।।

તે વિના કર્યો તપાસ, અલબેલો આંહી આવે નહિ એ । ભક્તિવાળા ભક્તપાસ રે’વા ભાવે બીજે ભાવે નહિ એ ।।૧૩।।

બીજા ઉદ્યમ કરે છે અનેક, પણ ભક્તિવાળા ભાવે ઘણું એ । જેના તન મનમાં એ ટેક, જે કરવા ગમતું હરિતણું એ ।।૧૪।।

એવા ભક્ત જે કોઇ ભાવિક, હરિભક્તિ વિના ભાવે નહિ એ । કરી અંતરમાંય વિવેક, ગુણ બીજાનો ગાવે નહિ એ ।।૧૫।।

સર્વે સાધનમાંહિ સાર, ભક્તિ કળશ કંચનનો એ । રાખવો એનો આધાર, વિશ્વાસ વા’લાના વચનનો એ ।।૧૬।।

તો પામિયે પરમ આનંદ, જિત થાય જોયા જેવડી એ । એમ કે’છે નિષ્કુલાનંદ, સર્વે ઉપર સગ્ય ચડી એ ।।૧૭।।

સંવત સુંદર ઓગણીસ, વરસ યુગલ વખાણીયે એ । ચૈત્ર સુદી નૌમી દિનેશ, ગ્રંથ પૂરણ પરમાણિયે એ ।।૧૮।।

દો સોરઠા દોહા દોય, ચુંવાળીશ કડવાં કહીયે એ । પદ એકાદશ સોય, તેપર એક ધોળ લહીયે એ ।।૧૯।।

પંચ શૂન્ય પર આઠ, ભક્તિનિધિના ચરણ છે એ । કહે સુણે કરે પાઠ, તેને અભયકરણ છે એ ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદ મુનિ વિરચિતે ભક્તિનિધિઃ સંપૂર્ણઃ