રાગ:- ધન્યાસરી
ભક્તિમાં પણ ભર્યા છે ભેદજી, કરેછે જન મન પામેછે ખેદજી ।
એક બીજાનો કરેછે ઉચ્છેદજી, તેનો નથી કેને ઉર નિર્વેદજી ।।૧।।
રાગ :- ઢાળ
નિર્વેદ વિના ખેદ પામી, કરેછે ખેંચાતાણ । નંદે વંદેછે એક એકને, એ સહુ થાયછે હેરાણ ।।૨।।
નવે પ્રકારે કરી નાથની, ભક્તિના કહ્યા છે ભેદ । નિષ્કામ થઇ કોઇ નર કરે, તો શીદ પામે કોઇ ખેદ ।।૩।।
પણ અંતર ઉંડો અભાવછે, બહુ બળ દેખાડેછે બા’ર । જયાન થયું તે જાણતા નથી, કથી શું કહીયે વારમવાર ।।૪।।
જેમ લેખક કરમાં લેખ આવે, તે લઇ લેખણ લીટો કરે । હતો પરવાનો પરમ પદનો, પણ કહો એમાંથી હવે શું સરે? ।।૫।।
તેમ ભક્તિ અતિ ભલી હતી, તેમાં ભેળવ્યો ભાગ ભુંડાઇનો । ખીર બગડી ખારૂં લુણ પડયું, ટળ્યો ઉમેદ એના ઉપાઇનો ।।૬।।
તેમ ભક્તિ કરતાં ભગવાનની, આવી અહં મમતની આડ । પ્રભુ પાસળ પો’ચતાં, આડું દીધું એ લોહ કમાડ ।।૭।।
માટે નિરમમત થઇ નાથની, ભક્તિ કરો ભરી ભાવ । નિરાશી વા’લા નારાયણને, શીદ બાંધોછો જયાં ત્યાં દાવ ।।૮।।
સકામ ભક્તિ સહુ કરેછે, નથી કરતા નિષ્કામ કોય । તેમાં નવનીત નથી નિસરતું, નિત્ય વલોવતાં તોય ।।૯।।
ઘોઘે જઇ કોઇ ઘેર આવ્યો, કરી આવ્યો નહિ કોઇ કામ । નિષ્કુલાનંદ એવી ભક્તિ, નવ કરવી નર ને વામ ।।૧૦।। કડવું ।।૯।।