રાગ:- ધન્યાસરી
પ્રસન્ન કરવા ઘણું ઘનશ્યામજી, કરો હરિભક્તિ અતિ હૈયે કરી હામજી ।
જે ભક્તિ અતિ કા’વે નિષ્કામજી, ધર્મસહિત છે સુખનું ધામજી ।।૧।।
રાગ :- ઢાળ
ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે । તેને તોલે ત્રિલોક માંહિ, સમઝી જાુવો નહિ નિસરે ।।૨।।
જેણે આલોકસુખની આશા મેલી, પરલોક સુખ પણ પરહર્યાં । એક ભક્તિ ભાવી ભગવાનની, વિષયસુખ વિષ સમ ર્યાં ।।૩।।
જેણે પંચ વિષયશું પ્રિત ત્રોડી, જોડી પ્રીત ભક્તિ કરવા । તજી મમત તન મનની, તેને રહી કહો કેની પરવા ।।૪।।
રાજી કુરાજીયે કોઇને, નવ વણસે સુધરે વાત । નથી એથી સુખ મળવા ટળવા, જોઇએ હરિ રાજી રળીયાત ।।૫।।
પરબ્રહ્મને પ્રસન્ન કરવા, કરે ભક્તિ માહાત્મ્યે સહિત । ધરી દૃઢ ટેક એક અંતરે, તે ફરે નહિ કોઈ રીત ।।૬।।
નિષ્કપટ નાથની ભગતિ, સમઝો સુખ ભંડાર છે । એની બરાબરી નોય કોઇ બીજું, એતો સર્વે સારનું સાર છે ।।૭।।
સાચી ભક્તિ ભગવાનની, સર્વે શિર પર મોડ છે । બીજાં સાધન બહુ કરે, પણ જાુઓ એની કોઇ જોડ છે? ।।૮।।
જેમ ગળપણમાં શર્કરા ગળી, વળી રસમાં સરસ તુપ । જેમ અંબરે સરસ જરકસી, તેમ ભક્તિ અતિ અનુપ ।।૯।।
એવી અનુપમ ભગતિ, ભાવી ગઇ જેને ભીંતરે । નિષ્કુલાનંદ કે’ સર્વે સાધન, એની સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૬।।