રાગ:- ધન્યાસરી

ભક્તિનિધિ આ ગ્રંથ જે ગાશેજી, ભક્તિનો ભેદ તેને જણાશેજી ।

સમઝીને પછી ભક્ત ભલો થાશેજી, ત્યારે બીજાં બંધનથી મૂકાશેજી ।।૧।।

રાગ :- ઢાળ

મૂકાશે બીજાં બંધનથી, રહેશે રાચી સાચી ભલી ભક્તિયે । ખરા ખોટાની ખબર ખરી, પડશે પોતાને તહિયે ।।૨।।

વિધવિધે વિચારશે, ધારશે ભક્તિ મન દૃઢ કરી । ભક્તિ વિના કોઇ ભલું કરવા, ભાળશે નહિ ભવમાં ફરી ।।૩।।

સહુથી સરસ સમઝશે, ભક્તિ અતિ ભગવાનની । તેને તોલ તપાસતાં, નહિ જડે જોડ એ સમાનની ।।૪।।

એવાને ભક્તિ અતિ ભાવશે, ગાવશે ગુણ ભક્તિતણા । જાણશે પોતાના જીવમાં, જે ભક્તિથી ઉદ્ધર્યા ઘણા ।।૫।।

મોટેમોટે વળી મહિમા, ભાખ્યો ભક્તિનો ભારે બહુ । તે ભક્તિ પ્રભુ પ્રગટની, સમઝુ સમઝી લિયો સહુ ।।૬।।

બીજી ભક્તિ જન બહુ કરે, તેમાં રહે ગમતું મનનું । પણ પ્રગટ પ્રભુની ભક્તિમાં, રહે ગમતું ભગવાનનું ।।૭।।

માટે કોઇને એ કરતાં, ભાવ થાતો નથી ભીંતરમાં । પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં, ઘણું આદરી બેઠા ઘરોઘર ।।૮।।

જિયાં આવ્યું જેને બેસતું, તિયાં ભળી થયા ભગત । એવે ભક્તે આ બ્રહ્માંડ ભરિયું, એપણ જાણવી વિગત ।।૯।।

સાચી ભક્તિ શ્રીહરિ સંબંધી, વર્ણવી વારમવાર । નિષ્કુલાનંદ હવે નહિ કહે, સહુ સમઝજો નિરધાર ।।૧૦।। કડવું ।।૪૪।।