રાગ:- ધન્યાસરી

દૂર ન રહે એવા જનથી દયાળજી, રાત દિન રાખે એની રખવાળજી ।

જેમ જનની નિત્ય જાળવે બાળજી, એમ અતિ કૃપા રાખેછે કૃપાળજી ।।૧।।

રાગ :- ઢાળ

કૃપાળ એમ કૃપા કરી, સમેસમે કરેછે સંભાળના । નિત્યે નજીક રહી નાથજી, પળેપળે કરેછે પ્રતિપાળના ।।૨।।

ખાતાં પીતાં સૂતાં જાગતાં, ઘણી રાખેછે ખબર ખરી । ઉઠતાં બેસતાં ચાલતાં, હરેછે સંકટ શ્રીહરિ ।।૩।।

નર અમર મનુજાદથી, રક્ષા કરેછે રમાપતિ । ભૂત ભૈરવ ભવાનીના ભયને, રાખેછે તે રોકી અતિ ।।૪।।

અંતરશત્રુ ન દિયે કેદી ઉઠવા, નિશ્ચે કરીને નિરધાર । નિજભક્ત જાણીને નાથજી, વા’લો વે’લી કરે વળી વા’ર ।।૫।।

પોતાને પીડા જો ઉપજે, તેને ગણે નહિ ઘનશ્યામ । પણ ભક્તની ભિડ્ય ભાંગવા, રહેછે તૈયાર આઠું જામ ।।૬।।

દેખી ન શકે દુઃખ દાસનું, અણું જેટલું પણ અવિનાશ । માને સુખ ત્યારે મનમાં, જયારે ટાળે જનના ત્રાસ ।।૭।।

સાચા ભક્તની શ્રીહરિ, સદા સર્વદા કરેછે સહાય । તે લખ્યાં છે લક્ષણ ભક્તનાં, હરિયે હરિગીતામાંય ।।૮।।

એવા ભક્તના અલબેલડો, પૂરેછે પૂરણ કોડ । તેહ વિનાના ત્રિશંકુ જેવા, રખે રાખો દલે કોઇ ડોડ ।।૯।।

એક ભેરવજપ બીજી ભગતિ, તે અણમણતાં ઓપે નહિ । નિષ્કુલાનંદ નક્કી વારતા, જે કે’વાની હતી તે કહી ।।૧૦।। કડવું ।।૪૩।।