રાગ:- ધન્યાસરી

જુગોજુગ જીવન રહે જન હેતજી, જે જને સોંપ્યું તન મન સમેતજી।

સહુશું તોડી જેણે પ્રભુશું જોડી પ્રીતજી, એવા ભક્તની કહું હવે રીતજી ।।૧।।

રાગ :- ઢાળ

રીત કહું હરિભક્તની હવે, જેણે પ્રભુ વિના પળ ન રે’વાય। જેમ જળ વિના ઝષના, પળ એકમાં પ્રાણ જાય ।।૨।।

અમૃત લાગે તેને મૃત જેવું, પંચામૃત તે પંકસમાન । શય્યા લાગે શૂળી સરખી, જો ભાળે નહિ ભગવાન ।।૩।।

શ્રીખંડ લાગે પંડ્યે પાવક જેવું, માળા લાગે મણીધર નાગ । હરિસેવા વિના હરિજનને, અન્ય સુખ થઇ ગયાં આગ ।।૪।।

વળી ભવન લાગે તેને ભાગસી, સંપત તે વિપત સરખી । કિર્તિ જાણે કલંકે ભરી, સુણી હૈયે ન જાય હરખી ।।૫।।

નિરાશી ઉદાશી નિત્યે રહે, વહે નયણમાં જળધાર । હરિ વિનાનું હોય નહિ, હરિજનને સુખ લગાર ।।૬।।

સૂતાં ન આવે નિદ્રા જેને, જમતાં ન ભાવે અન્ન । ભક્તિ વિના હરિભક્તને, એમ વરતે રાત ને દન ।।૭।।

ગાન લાગે શબ્દ સિંહ સર્પસમ, તાન લાગે તાડન તન । પડયું વિઘન જાણી તે પરહરે, ભક્તિ વિના ભાવે નહિ અન્ય ।।૮।।

પ્રભુ વિના જેના પંડમાં, પ્રાણ પીડા પામે બહુપેર । એવા ભક્તને ભાળી વળી, મહાપ્રભુ કરેછે મે’ર ।।૯।।

ભાખ્યા ગુણ હરિભક્તના, જોઇએ એવા જનમાં જરૂર । નિષ્કુલાનંદ કહે નાથ એવાથી, પળ એક રહે નહિ દૂર ।।૧૦।। કડવું ।।૪૨।।