રાગ:- ધન્યાસરી

વિઘને ભર્યાં સુખ સારૂં સાધનજી, કરતાં મુઝાય છે શુદ્ધ સંતનાં મનજી ।

તે કેમ કરી શકે જાણો એ જનજી, જેને ઉપર છે અનંત વિઘનજી ।।૧।।

રાગ :- ઢાળ

વિઘન વિવિધ ભાતનાં, રહ્યાં સાધન પર સમોહ । સુર અસુર ઇચ્છે પાડવા, પ્રેરી કામ ક્રોધ લોભ મોહ ।।૨।।

જપતાં જાપ બાપ આપણે, પ્રહ્લાદજીને પીડા કરી । સત્ય રાખતાં હરિશ્ચંદ્ર શિબિ, નળ મુદગળ ન બેઠા ઠરી ।।૩।।

તપ કરી ત્રિલોકમાં, પામી પડિયા પાછા કઇ । એમ કરી તન તાવતાં, સુખ અટળ આવ્યું નહિ ।।૪।।

વ્રત રાખતાં અંબરીષ પીડયો, દાન દેતાં પીડાયો નર ઘોષ । પુણ્ય કરતાં પાંડવ પંચાલી, આવ્યા દુર્વાસા દેવા દોષ ।।૫।।

જોગે પીડાણા શુક જડભરત, જગને પીડાણો નહૂષ ભૂપાળ । બળી વળી દધિચિ ઋષિ, રંતિદેવ સરીખા દયાળ ।।૬।।

એવી અનેક પ્રકારની આપદા, આવી સત્યવાદી પર સોઇ । વનવાસી ત્યાગી વૈરાગી, વણ વિપતે નહિ કહું કોઇ ।।૭।।

જેજે જને એહ આદર્યું, પરલોક પામવા કાજ । તેતે જનને જાણજો, સુખનો ન રહ્યો સમાજ ।।૮।।

વિઘન બહુ વિધવિધનાં, ભર્યાં ભવમાંહિ ભરપૂર । પરલોક ન દિયે પામવા, જન જાણી લેજો જરૂર ।।૯।।

માટે વાટ એ તે મૂકવી, સમઝી વિચારીને શુભમતિ । નિષ્કુળાનંદ કે’ નિર્ભય થાવા, કરવી હરિની ભગતિ ।।૧૦।। કડવું ।।૪।।