રાગ:- ધન્યાસરી
ભક્તિ કરે તેહ ભક્ત કે’વાયજી, ભકિત વિના જેણે પળ ન રે’વાયજી ।
શ્વાસોશ્વાસે તે હરિગુણ ગાયજી, તેહ વિના બીજું તે ન સુહાયજી ।।૧।।
રાગ :- ઢાળ
સુહાય નહિ સુખ શરીરનાં, હરિભક્તિ વિના ભૂલ્યે કરી । અખંડ રહે અંતરમાં, કરવા ભક્તિ ભાવે ભરી ।।૨।।
હમેશ રહે હરખ હૈયે, ભલી ભાતે ભક્તિ કરવા । ભૂલ્યે પણ હરિભક્તિ વિના, ઠામ ન દેખે ઠરવા ।।૩।।
ભક્તિ વિના બ્રહ્મલોક લગી, સુખ સ્વપ્ને પણ સમઝે નઇ । ચૌદ લોક સુખ સુણી શ્રવણે, લોભાય નહિ લાલચુ થઇ ।।૪।।
ભક્તિ વિનાનો નહિ ભરોંસો, સદા સ્થિર રે’વા કોઇ ઠામ । માટે મૂકી ન શકે ભક્તિને, અતિ સમઝી સુખનું ધામ ।।૫।।
નવે પ્રકારે નક્કી કરીને, ભાખ્યા ભક્તિતણા જેહ ભેદ । તે અતિ આદરશું આદરે, કરી અહંમમત ઉચ્છેદ ।।૬।।
અહંમમત જાય જયારે ઉચલી, ત્યારે પ્રગટે પ્રેમલક્ષણા । ત્યારે તેહ ભક્તને વળી, રહે નહિ કોઇ મણા ।।૭।।
રસ પરસ રહે એકતા, સદા શ્રીહરિની જો સાથ । અંતરાય નહિ એકાંતિક પણું, ઘણું રહે શ્યામની સંઘાથ ।।૮।।
એવે ભક્તે ભગવાનની, ભલિભાત્યે ભજવી ભગતિ । ભક્તિ કરી હરિ રીઝવ્યા, ફરી રહ્યું નહિ કરવું રતિ ।।૯।।
કરીયે તો કરીયે એવી ભગતિ, જેમાં રહ્યો સુખનો સમાજ । નિષ્કુલાનંદ ન કરીયે, ભક્તિ લોક દેખાડવા કાજ ।।૧૦।। કડવું ।।૩૪।।