રાગ:- ધન્યાસરી
સાચા ભક્તની ભેટ થાય ભાગ્યેજી, જેને જગસુખ વિખસમ લાગેજી ।
ચિત્ત નિત્ય હરિચરણે અનુરાગેજી, તેહ વિના બીજું સરવસ ત્યાગેજી ।।૧।।
રાગ :- ઢાળ
ત્યાગે સર્વે તને મને, પંચ વિષય સંબંધી વિકાર । ભાવે હરિની એક ભગતિ, અતિ અવર લાગે અંગાર ।।૨।।
અન્ન જમી જન અવરનું, સૂવે નહિ તાંણી વળી સોડ । નિર્દોષ થાવા નાથનું, કરે ભજન સ્તવન કરજોડ ।।૩।।
મહામે’નતે કરી મેળવ્યું, વળી અર્થે ભર્યું એવું અન્ન । તે ખાઇને ખાટ્ય માને નહિ, જો ન થાય હરિનું ભજન ।।૪।।
વળી વસ્ત્ર વિવિધ ભાતનાં, આપ્યાં અંગે ઓઢવા માટ । તે ઓઢી અન્ય ઉદ્યમ કર્યો, ખોળી જુવો શિ થઇ ખાટ્ય ।।૫।।
એણે આપ્યું નથી અન્ન ઉષર જાણી, હૈયે હજાર ઘણી છે લેવા હામ । એહ આપવું પડશે આપણે, કે આપશે શ્રીઘનશ્યામ ।।૬।।
ઘનશ્યામને શિર શીદ દિયે, જૈયે ન કર્યું ભક્તિ ભજન । રહે વિચાર એહ વાતનો, હૃદિયામાંહિ રાત દન ।।૭।।
ખરૂં ન કર્યું ખાધા જેટલું, ઇચ્છયો ભક્ત થાવા એકાંત । તેતો ઘાસ કટુ ઘેબરનાં ભાતાં, ખાવા કરેછે ખાંત ।।૮।।
એહ વાત બંધ કેમ બેસશે, હરિભક્ત તે હૈયે ધારિયે । માટે સૂતાં બેઠાં જાગતાં, અતિ હેતે હરિને સંભારિયે ।।૯।।
એમ જાણેછે જન હરિના, તે ભક્તિ કરતાં ભૂલે નહિ । નિષ્કુલાનંદ કહે વેષ વરાંસે, ફોગટ મને ફૂલે નહિ ।।૧૦।। કડવું ।।૩૫।।