રાગ:- ધન્યાસરી
જોને કોઇક કરેછે જપ તપ તીર્થજી, વ્રત દાન પુણ્ય કરે હરિ અર્થજી।
સત્ય જોગ જગને વાવરે ગર્થજી, જેવી હોય તને મને ધને સામર્થજી ।।૧।।
રાગ :- ઢાળ –
સામર્થ પ્રમાણે સહુ કરે, વળી કસર ન રાખે કોઇ । શુદ્ધ મન શુદ્ધ ભાવ શ્રદ્ધાએ, શુદ્ધ આદરે કરે સોઇ ।।૨।।
એમ પ્રસન્ન કરી પરબ્રહ્મને, કરે અલ્પ સુખની આશ । તે શિશુ સમઝણ સેવકની, ત્યાગી તુપને માગી છાશ ।।૩।।
જેમ રિઝવે કોઇ રાજનને, પ્રસન્ન કરીને માગે પિયાજ । તે આપતાં અતિ અવનીશને, લાગે લોકમાં ઘણી લાજ ।।૪।।
માટે સેવા ખરી હરિની કરી, માગિયે નહિ માયિક સુખ । જે પામી પડે પાછું પડવું , રહે જેમ હોય તેમ દુઃખ ।।૫।।
તે શોધી સર્વે સમઝવું, જોઇ લેવું જીવમાં જરૂર । અંતવત સુખ ઇચ્છતાં, કેદિ દુઃખ ન થાય દૂર ।।૬।।
જેમ કણ મૂકી કુકસને, જાચે તુષને તજી તાંદૂળ । તેમ મૂરતિ મૂકી મહારાજની, ન માગવું સુખ નિર્મૂળ ।।૭।।
ચાર પ્રકારની મુગતિ, અતિ સુખદ કહે સુજાણ । પણ મૂર્તિ મનોહર માવની, મૂકી ઇચ્છે એહને એજ અજાણ ।।૮।।
જેમ ફોગટ ફળ ફુલ નહિ, મળે ફળ તો ફજેતીએ ભર્યાં । એવાં અલ્પ સુખ આવતાં, કહો કારજ સરે શું સર્યાં ? ।।૯।।
માટે રાજી કરી રંગરેલને, માગવું વિચારીને મન । નિષ્કુળાનંદ ન માગવું, જેને માથે હોય વિઘન ।।૧૦।। કડવું ।।૩।।