રાગ:- ધન્યાસરી

કમાણી કહો ક્યાં થકી થાયજી, નરે ન કર્યો કોઇ એવો ઉપાયજી।

જેજે કર્યું તે ભર્યું દુઃખમાંયજી, તે કેમ કરી કરે સેવામાં સા’યજી ।।૧।।

રાગ :- ઢાળ

સા’ય ન થાય ભુંડપની ભક્તિએ, કોઇ કરે જો કોટી ઘણી । પરિચર્યા પામર નરની, તે સર્વે સામગ્રી સંકટતણી ।।૨।।

ઉનાળે પે’રાવે ઉનનાં અંબર, ગરમ ઓઢાડે વળી ગોદડું । સમીપે કરી લાવે સગડી, કહો એથી અવળું શું વડું ? ।।૩।।

વળી પે’રાવે ગરમ પોશાગને, જમાડે ગરમ ભોજન । પાય પાણી ઉનું આણી, કહે પ્રભુ થાઓ પ્રસન્ન ।।૪।।

જાવંત્રી કસ્તુરી ગરમ લાવી, આપે ઉનાળે એવો મુખવાસ । એવી સેવા કરે વણ સમઝે, તે શત્રુ સરિખો દાસ ।।૫।।

ચોમાસે ચલાવે કીચવચ્ચે, જેમાં સૂળ્યોના હોય સમોહ । એવા દાસ દુશ્મન જેવા, જે કરાવે ધણીને કોહ ।।૬।।

શિયાળે શીતળ જળ લઇ, નવરાવે કરીને નીરાંત । પછી ઓઢાડે પલળેલી પાંબડી, નાખે પવન ખરી કરી ખાંત ।।૭।।

વળી ચર્ચે ચંદન મળિયાગરી, કંઠે પે’રાવે ભિંજેલ હાર । પ્રસન્ન કરે કેમ પ્રગટ પ્રભુને, એવી સેવાના કરનાર ।।૮।।

સવળી સામગ્રી શોધતાં, અવલોકે ન મળે એક । અણ સમઝણે એવી સેવા, કરવી નહિ સેવક ।।૯।।

જો આવડે તો જોઇ સમયે, સેવા કરવી સુજાણ । નિષ્કુલાનંદ નરનાથ છે, નથી પ્રભુમૂર્તિ પાષાણ ।।૧૦।। કડવું ।।૧૯।।