રાગ:- ધન્યાસરી

પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલીજી, કરી દીયે કામ એજ એકલીજી ।

એહ વિના બીજી છે ભૂલવાની ગલીજી, જગમાં જેજે કે’વાય છે જેટલીજી ।।૧।।

રાગ :- ઢાળ

જેટલી ભક્તિ જન કરેછે, પરહરી પ્રભુ પ્રગટને । તેને ભક્ત કે’વો તે ભૂપની ખોટે, જેમ પાટે બેસાર્યો મર્કટને ।।૨।।

તેણે ફાળ ભરી ફળ જોઇને, કોઇને ન પૂછી વાત । એમ પરોક્ષ ભક્તિ બહુ પેરની, લાખો લેખે ખાયછે લાત ।।૩।।

જોને વાડવ વાસી વ્રજના, જોરે કરતા હતા જગન । પણ પ્રભુ પ્રગટને જમવા, અણુભાર ન આપ્યું અન્ન ।।૪।।

જગનનું ફળ શું જડ્યું, પડ્યું પસ્તાવું પાછું વળી । એવી પરોક્ષભક્તની પ્રાપતિ, શ્રવણે લીધીછે સાંભળી ।।૫।।

ધન્ય ધન્ય એની નારીને, જેણે જમાડયા જીવન પ્રાણને । પ્રગટ પ્રભુને પૂજતાં, તે પામી પરમ કલ્યાણને ।।૬।।

માટે પ્રગટથી જેવી પ્રાપ્તિ છે, તેવી નથી પરોક્ષની માંય । એમ ભક્તિમાં બહુ ભેદ છે, સમઝુ સમઝો  સદાય ।।૭।।

માટે મુખોમુખની જે વારતા, તે સમ નહિ સંદેશા તણી । કાનની સૂણી સહુ કહેછે, નથી દીઠી નજરે આપણી ।।૮।।

વાંચી કાગળ કોઇ કંથનો, જેમ નાર અપાર રાજી થઇ । પણ પ્રગટ સુખ પિયુતણું, અણુ જેટલું આવ્યું નઇ ।।૯।।

માટે પ્રગટ ભક્તિ વિના પ્રાપતિ, નથી નર અમરને નિરધાર । નિષ્કુલાનંદ કહે જુવો નિહાળી, ઉડું અંતર મોઝાર ।।૧૦।। કડવું ।।૧૪।।