રાગ:- ધન્યાસરી
પ્રગટ પ્રભુની ભક્તિ અતિ સાચીજી, જેહ ભક્તિને મોટે મોટે જાચીજી ।
તેહ વિના બીજી છે સર્વે કાચીજી, તેહમાં ન રે’વું કેદિયે રાચીજી ।।૧।।
રાગ :- ઢાળ
રાચી રે’વું રસરૂપ પ્રભુમાં, જોઇ જીવન પ્રગટ પ્રમાણ । પછી ભક્તિ તેની ભાવશું, સમઝીને કરવી સુજાણ ।।૨।।
જોઇ મરજી જગદીશની, શિશસાટે કરવું સાબિત । સુખ દુઃખ આવે તેમાં દેહને, પણ હારવી નહિ હીંમત ।।૩।।
રામનું કામ કર્યું કપીએ, લાવી પથ્થર બાંધી પાજ । અવર ઉપાય અળગા કર્યા, રામજી રિઝવવા કાજ ।।૪।।
એજ ધ્યાન એજ ધારણા, એજ જપ તપ ને તીરથ । એજ અષ્ટાંગ યોગ સાધન, જે અવ્યાં પ્રગટને અર્થ ।।૫।।
નર નહિ એ વાનર વળી, તેણે રાજી કર્યા શ્રીરામ । ભક્તિ બીજા ભક્તની, તેહ કહો આવી શિયે કામ ।।૬।।
નર ન આવ્યા પશુપાડમાં, પશુએ કર્યા પ્રભુ પ્રસન્ન । સમો જોઇ જે સેવા કરે, તે સમાન નહિ સાધન ।।૭।।
વણ સમાની જે ભગતિ, અતિ કુરાજી કરવા કાજ । માટે જન સમો જોઇને, રાજી કરવા શ્રીમહારાજ ।।૮।।
જેહ સમે જેવું ગમે હરિને, તેવું કરે થઇ તૈયાર । તેમાં સમ વિષમે ભાવ સરખો, એક ઉરમાંહી નિરધાર ।।૯।।
એવા ભક્તની ભગતિ, અતિ વા’લી વા’લાને મન । નિષ્કુલાનંદ નિશ્ચે કરી, ન હોય કોઇ એને વિઘન ।।૧૦।। કડવું ।।૧૩।।