રાગ:- ધન્યાસરી
સાચી ભક્તિ કરતાં કો’કેને ભાવ્યુંજી, ખરી ભક્તિમાંહિ સહુએ ખોટું ઠેરાવ્યુંજી ।
અણસમઝુંને એમ સમઝયામાં આવ્યુંજી, વણ અર્થીભક્તિશું વેર વસાવ્યુંજી ।।૧।।
રાગ :- ઢાળ
વેર વસાવ્યું વણ સમઝે, સાચી ભક્તિ કરતલ સાથ । શોધી જુવો સરવાળે સહુને, મળી વળી સઇ મીરાંથ ।।૨।।
પ્રહ્લાદ ભક્ત જાણી પ્રભુના, હિરણ્યકશિપુએ કર્યા હેરાણ । તેહ પાપે કરી તેહના, ગયા પંડમાંથી પ્રાણ ।।૩।।
વસુદેવ વળી દેવકીને, જાણ્યાં જગદીશનાં જરૂર । તેને કષ્ટ કંસે આપિયું , મૂવો પાપિયો આપે અસુર ।।૪।।
પંચાલી ભક્ત પરબ્રહ્મનાં, જાણી દુઃખ દીધું દુઃશાસન । તાણ્યાં અંબર એ પાપમાં, થયું કુળ નિર્મૂળ નિકંદન ।।૫।।
પાંડવ ભક્ત પરમેશ્વરના, તેને દીધું દુર્યોધને દુઃખ । તે પાપે રાજય ગયું વળી, થયું મોત રહ્યું નહિ સુખ ।।૬।।
સીતાજી ભક્ત શ્રીરામજીનાં, તેને રાવણે પાડિયા રોળ । સત્યવાદીને સંતાપતાં, આવિયું દુઃખ અતોલ ।।૭।।
તે હરિજનને હૈયે હોય નહિ, જે દુઃખ દેતલને દુઃખ થાય । પણ જેમ કેગરના કાષ્ટને, બાળતાં અગ્નિ ઓલાય ।।૮।।
એમ ભક્તને ભય ઉપજાવતાં, નિર્ભય ન રહ્યા કોય । આદિ અંતે મધ્યે માનજો, હરિભક્ત નિર્ભય હોય ।।૯।।
પરમ પદને પામવા, હરિભક્તની ભીડ્ય તાણવી । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, વાત આટલી જરૂર જાણવી ।।૧૦।। કડવું ।।૧૧।।