રાગ:- ધન્યાસરી
ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી, તેમાં મર જાઓ કે રહો લોક લાજજી । તાન એક
ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન થાઓ સુખ ત્યાગજી ।।૧।।
રાગ :- ઢાળ
તનમન સુખ ત્યાગીને, કરે શુદ્ધભાવે કરી ભગતિ । સમ વિષમમાં સરખી, રહે માન અપમાને એક મતિ ।।૨।।
પ્રસંશા સુણી નવ પોરસે, નિંદા સુણીને નવ મુઝાય । ઉભય ભાતનો અંતરે, હર્ષ શોક ન થાય કાંય ।।૩।।
જેમ નટ ચડે વળી વાંસડે, જોવા મળે સઘળું ગામ । પણ નટ ન જુવે કોઇને, જો જુવે તો બગડે કામ ।।૪।।
તેમ ભક્તિ કરતાં ભક્તને, નવ જોવા દોષ અદોષ । ગુણ અવગુણ કેના ગોતતાં, અતિ થાય અપશોષ ।।૫।।
વળી આલોકની જે આબરૂં, રહો કે જાઓ જરૂર । ભક્તિ ન મૂકવી ભગવાનની, તે ભક્ત જાણો ભરપુર ।।૬।।
જેને રીઝવવા છે રાજને, નથી રીઝવવા વળી લોક । જોઇ જય પરાજય જક્તમાં, શીદ કરે ઉર કોઇ શોક ।।૭।।
ભક્તિ કરતાં કેને ભાવે ન ભાવે, આવે કોઇને ગુણ અવગુણ । જેની નજર પો’તી છે પરાથી પર, તેને અધિક ન્યૂન કહો કુણ ।।૮।।
જેને આવડ્યું જળ તરવું, તેને ઉંડું છિછરું છે નહિ । મીન પંખીને મારગમાં, કહો આડ્ય આવે કહિ ।।૯।।
ખેચર ને ભૂચરની, જાણવી જુજવી ગતી । નિષ્કુલાનંદ કે’ નોખું રહી, ભજાવી લેવી ભગતી ।।૧૦।। કડવું ।।૧૦।।