રાગ:- ધન્યાસરી

ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી, તેમાં મર જાઓ કે રહો લોક લાજજી । તાન એક

ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન થાઓ સુખ ત્યાગજી ।।૧।।

રાગ :- ઢાળ

તનમન સુખ ત્યાગીને, કરે શુદ્ધભાવે કરી ભગતિ । સમ વિષમમાં સરખી, રહે માન અપમાને એક મતિ ।।૨।।

પ્રસંશા સુણી નવ પોરસે, નિંદા સુણીને નવ મુઝાય । ઉભય ભાતનો અંતરે, હર્ષ શોક ન થાય કાંય ।।૩।।

જેમ નટ ચડે વળી વાંસડે, જોવા મળે સઘળું ગામ । પણ નટ ન જુવે કોઇને, જો જુવે તો બગડે કામ ।।૪।।

તેમ ભક્તિ કરતાં ભક્તને, નવ જોવા દોષ અદોષ । ગુણ અવગુણ કેના ગોતતાં, અતિ થાય અપશોષ ।।૫।।

વળી આલોકની જે આબરૂં, રહો કે જાઓ જરૂર । ભક્તિ ન મૂકવી ભગવાનની, તે ભક્ત જાણો ભરપુર ।।૬।।

જેને રીઝવવા છે રાજને, નથી રીઝવવા વળી લોક । જોઇ જય પરાજય જક્તમાં, શીદ કરે ઉર કોઇ શોક ।।૭।।

ભક્તિ કરતાં કેને ભાવે ન ભાવે, આવે કોઇને ગુણ અવગુણ । જેની નજર પો’તી છે પરાથી પર, તેને અધિક ન્યૂન કહો કુણ ।।૮।।

જેને આવડ્યું જળ તરવું, તેને ઉંડું છિછરું છે નહિ । મીન પંખીને મારગમાં, કહો આડ્ય આવે કહિ ।।૯।।

ખેચર ને ભૂચરની, જાણવી જુજવી ગતી । નિષ્કુલાનંદ કે’ નોખું રહી, ભજાવી લેવી ભગતી ।।૧૦।। કડવું ।।૧૦।।