રાગ:- ધન્યાસરી

હરિની ભક્તિનો કરતાં દ્વેષજી, આવે અંગે અંતરે કોટિ કલેશજી ।

તેણે કરી રહે હેરાન હમેશજી, એહમાંહી સંશય નથી લવલેશજી ।।૧।।

રાગ :- ઢાળ

લેશ સંશય નવ લેખવો, એનો દેખવો અસદ્ય ઉપાય । નાખતાં રજ સૂરજ સામી, પાછી પડે આંખ્ય મુખમાંય ।।૨।।

જે જળથી શીતળ થાય, તેને લગાડે કોઇ તાપ । તેનું તે બાળે તનને, સામુનો થાય સંતાપ ।।૩।।

વળી જે વહ્નિથી ટાઢ ટળે, તેમાંજ નાખીયે નીર । પછી બેસીયે પાસળે, શું શીત વીતે શરીર ।।૪।।

વળી જે ભોજને કરીને ભૂખ ભાગે, તે ભોજનમાં ભેળિયે ઝેર । તે કહો સુખ કેમ આપશે, જેણે કર્યું સુખદશું વેર ।।૫।।

જે પટે ઘટ ઢાંકિયે, તે પટનો કરીયે ત્યાગ । પછી ઇ્યચ્છયે પ્રવીણતા, તે મૂરખ નર કહ્યા લાગ ।।૬।।

જે ભૂમિમાં અન્ન ઉપજે, તે ભૂમિમાં વિષ વવાય । પછી અમરપણું ઇચ્છવું, તેતો અતિ અવળું કે’વાય ।।૭।।

એમ અભાગી નરને, હરિભક્તિમાંહિ અભાવ । તે કેમ તરશે સિંધુતોયને, જે બેઠા પથરને નાવ ।।૮।।

ડોબું ન ગમ્યું દુઝણું, ભલી લાગી આવિયા ભેડ્ય । તજી દઇ તાંદુલને, કરી કુકશ સારૂં વઢવેડ્ય ।।૯।।

અલ્પમતિને અવળું સુજે, સવળું સૂજે નહિ લવ લેશ । નિષ્કુલાનંદ એવા નરને, આપિયે શિયો ઉપદેશ ।।૧૦।। કડવું ।।૧૨।।