રાગ:- ધન્યાસરી

ભાગ્ય જાગ્યાં આજ જાણવાં જેને ભેટ્યા ભગવાનજી, ત્રિલોકમાં ના’વે કોઇ તેહને સમાનજી ।

જેહને મળિયા  પ્રભુ મૂર્તિમાનજી, જેહ મૂર્તિનું ધરે ભવ બ્રહ્મા ધ્યાનજી ।।૧।।

રાગ :- ઢાળ

ધ્યાન ધરે જેનું જાણજો, અજ ઇશ સરીખા સોઇ । તોયે અતિ અકળ છે એહને, જથારથ જાણે નહિ કોઇ ।।૨।।

એવી અલૌકિક મૂરતિ, અમાયિક અનુપ અમાપ । આગમ નિગમ ને અગોચર અતિ, તેનો કરી શકે કોણ ૧થાપ ।।૩।।

થાપ ન થાયે એવા આગમે, વર્ણવિયા વારમવાર । તેહ પ્રભુને કેમ પામિએ, જેનો કોઇ ન પામિયા પાર ।।૪।।

તેહ હરિ નરતન ધરી, આપે આવે અવનિ મોઝાર । ત્યારે મળાય એ મૂર્તિને, જયારે નાથ થાય નરઆકાર ।।૫।।

મહારાજ થાય જયારે મનુષ્ય જેવા, દેવા જીવોને અભયદાન । ત્યારે પલ પાકે સહુ પ્રાણધારીની, જયારે ભૂમિ આવે ભગવાન ।।૬।।

ત્યારે ભક્તને ભક્તિ કરવા, ઉઘડે દ્વાર અપાર । થાય  સેવકને સેવ્યા સરખા, જયારે પ્રગટે પ્રાણ આધાર ।।૭।।

ત્યારે સુગમ  થાય છે સહુને, પ્રાણધારીને પરમાનંદ । ન હોય દરશ સ્પર્શનું દોયલું, સદા સોયલા હોય સુખકંદ ।।૮।।

સાકાર સુંદર મૂરતિ, જોઇ જન મગન મન થાય । પછી સેવા કરી એવા શ્યામની, મોટું ભાગ્ય માનવું મનમાંય ।।૯।।

પણ મૂરતિ મૂકી મહારાજની, બીજું માગવું નહિ બાળક થઇ ।  નિષ્કુલાનંદ નિર્ભય થાવા, હરિભક્તિ વિના ઇચ્છવું નહિ ।।૧૦।। કડવું ।।૨।।