રાગ:- ધન્યાસરી
ભાગ્ય જાગ્યાં આજ જાણવાં જેને ભેટ્યા ભગવાનજી, ત્રિલોકમાં ના’વે કોઇ તેહને સમાનજી ।
જેહને મળિયા પ્રભુ મૂર્તિમાનજી, જેહ મૂર્તિનું ધરે ભવ બ્રહ્મા ધ્યાનજી ।।૧।।
રાગ :- ઢાળ –
ધ્યાન ધરે જેનું જાણજો, અજ ઇશ સરીખા સોઇ । તોયે અતિ અકળ છે એહને, જથારથ જાણે નહિ કોઇ ।।૨।।
એવી અલૌકિક મૂરતિ, અમાયિક અનુપ અમાપ । આગમ નિગમ ને અગોચર અતિ, તેનો કરી શકે કોણ ૧થાપ ।।૩।।
થાપ ન થાયે એવા આગમે, વર્ણવિયા વારમવાર । તેહ પ્રભુને કેમ પામિએ, જેનો કોઇ ન પામિયા પાર ।।૪।।
તેહ હરિ નરતન ધરી, આપે આવે અવનિ મોઝાર । ત્યારે મળાય એ મૂર્તિને, જયારે નાથ થાય નરઆકાર ।।૫।।
મહારાજ થાય જયારે મનુષ્ય જેવા, દેવા જીવોને અભયદાન । ત્યારે પલ પાકે સહુ પ્રાણધારીની, જયારે ભૂમિ આવે ભગવાન ।।૬।।
ત્યારે ભક્તને ભક્તિ કરવા, ઉઘડે દ્વાર અપાર । થાય સેવકને સેવ્યા સરખા, જયારે પ્રગટે પ્રાણ આધાર ।।૭।।
ત્યારે સુગમ થાય છે સહુને, પ્રાણધારીને પરમાનંદ । ન હોય દરશ સ્પર્શનું દોયલું, સદા સોયલા હોય સુખકંદ ।।૮।।
સાકાર સુંદર મૂરતિ, જોઇ જન મગન મન થાય । પછી સેવા કરી એવા શ્યામની, મોટું ભાગ્ય માનવું મનમાંય ।।૯।।
પણ મૂરતિ મૂકી મહારાજની, બીજું માગવું નહિ બાળક થઇ । નિષ્કુલાનંદ નિર્ભય થાવા, હરિભક્તિ વિના ઇચ્છવું નહિ ।।૧૦।। કડવું ।।૨।।