રાગ:- ધન્યાસરી
ફેર નથી રતિ ભક્તિછે રૂડીજી, દોયલા દિવસની માનજો એ મુડીજી ।
એ છે સત્યવાત નથી કાંઇ કુડીજી, ભવજળ તરવા હરિભક્તિ છે હુડીજી ।।૧।।
રાગ :- ઢાળ
હુડી છે હરિની ભગતિ, ભવજળ તરવા કાજ । અપાર સંસાર સમુદ્રમાં, જબર જાણો એ ઝાજ ।।૨।।
સોસો ઉપાય સિંધુ તરવા, કરી જુવે જગે જન કોય । વહાણ વિનાનાં વિલખાં, સમઝી લેવાં જન સોય ।।૩।।
તેમ ભક્તિ વિના ભવદુઃખનો, આવે નહિ કેદિયે અંત । માટે ભક્તિ ભજાવવી, સમઝી વિચારીને સંત ।।૪।।
ખાધા વિના જેમ ભૂખ ન ભાંગે, તૃષા વીતે નહિ વણ તોય । તેમ ભક્તિ વિના ભવદુઃખ જાવા, નથી ઉપાય કહું કોય ।।૫।।
જગજીવન વિના જેમ નગ ન ભીંજે, રવિ વિના ટળે નહિ રાત । તેમ ભક્તિ વિના ભારે સુખ મળે, એવી રખે કરો કોઇ વાત ।।૬।।
જેમ પ્રાણધારીના પ્રાણને, જાણો આહારતણોછે આધાર । તેમ ભક્તિ ભગવાનની, સર્વેને સુખ દેનાર ।।૭।।
જળચરને જેમ જળ જીવન, વનચરને જીવન વન । તેમ ભક્ત ભગવાનનાને, જાણો ભક્તિ એજ જીવન ।।૮।।
જેમ ઝષ ન રહે જળ વિના, રહે કીચે દાદુર કૂર્મ । તેમ ભક્ત ન રહે હરિભક્તિ વિના, રહે ચિત્તે ચિંતવે જે ચર્મ ।।૯।।
માટે ભક્તને નવ ભૂલવું, કરવી હરિની ભગતિ । નિષ્કુલાનંદ કહે નિર્ભય થાવા, આદરશું કરવી અતિ ।।૧૦।। કડવું ।।૨૯।।