રાગ:- ધન્યાસરી
ભક્તિ કરે તે ભક્ત કે’વાયજી, જેથી કોયે જીવ નવ દુઃખાયજી ।
હા પ્રભુનો જાણે મોટો મહિમાયજી, સમઝે મારા સ્વામી રહ્યાછે સહુમાંયજી ।।૧।।
રાગ :- ઢાળ
સ્વામી મારા રહ્યા સઘળે, સર્વે સાક્ષીરૂપે સદાય । એમ જાણી દિલે ડરતા રહે, રખે કોયે મુજથી દુઃખાય ।।૨।।
અંતરજામી સ્વામી સૌમાં રહી, દેખેછે મારા દિલની । શું હું સંતાડું સંકલ્પને, એ જાણેછે પળપળની ।।૩।।
એમ ભક્ત ભગવાનને, ભાળે સહુમાં ભરપૂર। તેથી દુઃખાયે કોણ દિલમાં, જેને એવું વરતેછે ઉર ।।૪।।
તે કોણ સાથે કપટ કરે, કોણ સાથે વળી વરતે છળે । કહો કોણનો તે દ્રોહ કરે, જે જાણેછે સ્વામી સઘળે ।।૫।।
જેના ગુણ ગિરાયે ગાવા ઘટે, તેશું કેમ બોલાય કટુ વચને । જેને પૂજવા જોઇએ પ્રેમશું, તેને દેખાડાય કેમ ત્રાસ તને ।।૬।।
જેને જમાડ્યા જોઇએ જુગતે કરી, તેને કેમ અપાય નહિ અન્ન । જેને જોઇએ જળ આપવું, તેને ન અપાય જળ કેમ જન ।।૭।।
એમ સમઝી જન હરિના, કરે ભક્તિ અતિ ભરી ભાવ । તેહ વિનાના ભક્ત જેહ, તેહ બાંધે જયાંત્યાં દાવ ।।૮।।
પણ ભક્ત જે ભગવાનના, તેને મત મમત હોય નહિ । આપાપર જેહ નવ પરઠે, તેહ સાચા ભક્ત કા’વે સહી ।।૯।।
એવી ભક્તિ આદરવી, જેમાં કસર ન રહે કોઇ જાતની। નિષ્કુલાનંદ ન ભૂલવું, રાખવી ખટક આ વાતની ।।૧૦।। કડવું ।।૨૬।।