રાગ:- ધન્યાસરી

નથી અંધારૂં નાથને ઘેરજી, એપણ વિચારવું વારમવારજી ।

સમઝીને સરલ વર્તવું રૂડી પેરજી, તો થાય માનજો મોટાની મે’રજી ।।૧।।

રાગ :- ઢાળ

મે’ર કરે મોટી અતિ, જો ઘણું રહિયે ગર્જવાન । ઉન્મત્તાઇ અળગી કરી, ધારી રહિયે નર નિર્માન ।।૨।।

અવળાઇ કાંઇ અર્થ ન આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણ । અંતર ખોલી ખરૂં કરવું, પો’ત વિના ન તરે પાષાણ ।।૩।।

માટે જે કામ જેથી નિપજે, તે બીજે ન થાય મળે જો કોટ । તેને આગળ આધિન રહેતાં, ખરી ભાંગી જાય ખોટ ।।૪।।

જેમ અન્ન અંબુ હોય એક ઘરે, બીજે જડે નહિ જગમાંઇ । એથી રાખિયે અણ મળતું, તો સુખ ન પામિયે ક્યાંઇ ।।૫।।

માટે સર્વે સુખ શ્રીહરિમાં રહ્યાં, તે વિના નથી ત્રિલોકમાં । એમ સમુ જે નવ સમઝે, તે નર વરતે કધ્રોકમાં ।।૬।।

જે ખરા ખપની ખોટવાળા, તે સુખાળા શું થાયછે ? । અતિ અનુપમ અવસરમાં, મોટી ખોટને ખાય છે ।।૭।।

અમળતી અતિ વારતા, તે મેળવી હરિ કરી મે’ર । એહ વારતાની વિગતી કરી, નથી પ્રિછતા કોઇ પેર ।।૮।।

જેમ અજાણ નરને એકછે, પથ્થર પારસ એક પાડ । બાવના ચંદન બરોબરી, વળી જાણેછે બીજાં ઝાડ ।।૯।।

પણ પુરૂષોત્તમ પ્રગટનું મળવું, છે મોઘાં મૂલનું । નિષ્કુલાનંદ નર સમઝી, લેવું સુખ અતૂલનું ।।૧૦।। કડવું ।।૨૧।।