રાગ:- ધન્યાસરી

ભવજળ તરવા હરિ ભક્તિ કરોજી, તેહ વિના અન્ય તજો આગરોજી ।

શુદ્ધ મન ચિત્તે ભક્તિ આદરોજી, તેમાં તન મન મમત પરહરોજી ।।૧।।

ઢાળ-

તન મન મમતને તજી, ભજી લેવા ભાવે ભગવાન । તેમાં વર્ણાશ્રમ વિદ્યા વાદનું, અળગું કરી અભિમાન ।।૨।।

કોઇ દીન હીનમતિ માનવી, ગરીબ ગ્રસેલ રોગનો । તેની ઉપર ૪તિખપ્ય તજી, કરવો ઉપાય સુખ સંજોગનો ।।૩।।

સર્વે ઠેકાણે સમઝવા, છે અંતરજામી અવિનાશ । રખે કોઇ મુજથકી પણ, તનધારીને ઉપજે ત્રાસ ।।૪।।

અલ્પ જીવની ઉપરે પણ, રાખે દયા અતિ દિલમાંઇ । પેખીપેખી ભરે પગલાં, રખે થાય અપરાધ કાંઇ ।।૫।।

સ્થાવર જંગમ જીવ જેહ, તેહ સર્વના સુખદેણ । પશુ પંખી પ્રાણધારીપર, કરે નહિ કરડાં નેણ ।।૬।।

ઇન્દ્રિયજીત અજાતશત્રુ, સગા સહુના સુખસ્વરૂપ । દીનપણું ઘણું દાખવે, એવા અનેક ગુણ અનૂપ ।।૭।।

સાધુતા અતિ સર્વે અંગે, અસાધુતા નહિ અણુભાર । એવા ભક્ત ભગવાનના, તે સહુને સુખ દેનાર ।।૮।।

હતકારી સારી સૃષ્ટિના, પરમારથી પૂરા વળી । અપાર મોટા અગાધમતિ, જેની સમઝણ નવ જાય કળી ।।૯।।

એવા ભક્ત જેહને જ મળે, ટળે તેના ત્રિવિધ તાપ । નિષ્કુલાનંદ એહ નાથના, નક્કી ભક્ત એ નિષ્પાપ ।।૧૦।। કડવું ।।૨૫।।