પૂર્વછાયો-
એવું શ્રવણે સાંભળી, નરવીરે કર્યો વિચાર ।
એહ પાપને ટાળવા, મારે નિશ્ચે લેવો અવતાર ।।૧।।
ઋષિ તમે રાજી રહો, અધર્મ કરીશ ઉત્થાપ ।
સુખી કરીશ સૌ સંતને, તમે પરહરો પરિતાપ ।।૨।।
એમ કહી નરવીર ઋષિ, બેઠા એહ આશ્રમ ।
તેહ સમે નિજ સ્થાનથી, આવિયાં મૂર્તિ ને ધર્મ ।।૩।।
તેણે દેખી ઉભા થયા, સર્વે ઋષિ નારાયણ નર ।
દંડવત પ્રણામ કરી, કરે સ્તુતિ જોડી સહુ કર ।।૪।।
ચોપાઇ-
જોઇ ધર્મ ને મૂરતિ દોય, તેણે આનંદિયા સહુ કોય ।
શુદ્ધ સત્ત્વમય તનુ શાંતિ, શરદ પુન્યમ શશિસમ કાંતિ ।।૫।।
કંઠે કંજ તુલસીની માળ, પીળી જટાનો મુગટ વિશાળ ।
નવ નીરજસમ દોય નેણ, અતિ શાંતિવાન સુખદેણ ।।૬।।
પહેર્યાં શ્વેતાંબર તન શોભે, જોઇ જનતણાં મન લોભે ।
શોભે સુંદર રેખા બે હાથે, પહેરી સિત ઉપવીત નાથે ।।૭।।
એવા ધર્મ પરમ પાવન, તેનું મુનિ કરે છે સ્તવન ।
ધન્ય ધર્મ મહિમા તમારો, સર્વે લોકમાં સુજશ સારો ।।૮।।
હરિ હર બ્રહ્મા મન ભાવો, તમે સર્વેના ભૂષણ કહાવો ।
સુર સરવે ને વળી ઇંદ્ર, મનુ કશ્યપ ને રવિ ચંદ્ર ।।૯।।
કોઇ ત્યાગી ન શકે તમને, સર્વે મુનિને વહાલા છો મને ।
શેષ શારદા ને ગણપતિ, તમે સહુને વહાલા છો અતિ ।।૧૦।।
વાયુ વહ્નિ ને વળી વારિ, તે મર્યાદા ન લોપે તમારી ।
સપ્ત ઋષિ સતી પતિવ્રતા, સનકાદિક તમને સેવતા ।।૧૧।।
યોગી યતિ તપી તપ સાધે, તેતો સર્વે તમને આરાધે ।
ગૃહી વાનપ્રસ્થ ને સંન્યાસી, બ્રહ્મચારી તમારા ઉપાસી ।।૧૨।।
દ્વિજ ક્ષત્રિય ને વૈશ્ય ભજે, શુદ્ર તે પણ તમને ન તજે ।
પશુ પંખી પન્નગ નરનારી, સર્વે રહ્યાછે તમને ધારી ।।૧૩।।
તમને તે વંદે વેદ ચાર, ષટ્ શાસ્ત્ર પુરાણ અઢાર ।
કોઇ ન કરે તમારો ઉત્થાપ, મહામોટો તમારો પ્રતાપ ।।૧૪।।
તમને તજી કરે જેજે કાજ, તે તો ભષ્ટ થવાનો સમાજ ।
તમને તજી ભજે જે દેવ, તેતો તેની છે નિષ્ફળ સેવ ।।૧૫।।
તમને તજી ભજે ભગવાન, તોય તેટલું જાણવું જયાન ।
એવી મોટી છે તમારી લાજ, સર્વ લોકમાં તમારૂં રાજ ।।૧૬।।
પ્રભુ પ્રસન્ન કરવાને સારૂં, સહુ કરે સેવન તમારૂં ।
વળી આલોક પરલોકમાંય, સુખ થવા સેવે છે સદાય ।।૧૭।।
જેજે સુખી થયા થાશે કોય, તેતો ધર્મ વિના નિશ્ચે નોય ।
માટે શું કહીએ મુખે મહિમા, તમ તુલ્ય નહિ ત્રિલોકમાં ।।૧૮।।
એમ કરી તે પ્રશંસા બહુ, પછી આસને બેઠા છે સહુ ।
સર્વે નારાયણ સામું જોઇ, સહુએ ચિત્તની વૃત્તિ પરોઇ ।।૧૯।।
ધર્મ મૂર્તિ ને નરમુનિ, પ્રભુ સામી છે દ્રષ્ટિ સહુની ।
પછી નારાયણ પદ્મનેણ, બોલ્યા અમૃત સરિખાં વેણ ।।૨૦।।
ભલે આવ્યા તમે મારા તાત, ભલે આવિયાં મૂરતિ માત ।
થયું આજ પવિત્ર આશ્રમ, તમે પધાર્યા મૂરતિ ધર્મ ।।૨૧।।
પણ આ ઋષિ આવ્યા છે મળી, તેની વારતા લિયો સાંભળી ।
સ્વર્ગ મૃત્યુલોક ને પાતાળ, તેમાં વિચરે છે એ દયાળ ।।૨૨।।
હમણાં ભર્તખંડમાંથી આવ્યા, સર્વે પ્રજાની ખબર લાવ્યા ।
કહે છે અતિ વાધ્યો અધર્મ, ભ્રષ્ટ થયા છે વર્ણ આશ્રમ ।।૨૩।।
રાજા પ્રજા તજી સત્ય રીતી, આપ સ્વાર્થે કરે છે અનીતિ ।
ત્યાગી ગૃહી તજી નિજધર્મ, વિષય સારૂં કરે છે વિકર્મ ।।૨૪।।
નરનારી અપાર છે કામી, કરે ગોત્રમાં ગમન હરામી ।
નથી ધર્મમાં મતિ કોયની, એવી ખબર લાવ્યા આ મુનિ ।।૨૫।।
પ્રભુ વાત કરે છે એવી રીતે, સહુ સાંભળે છે એક ચિત્તે ।
શ્રવણ નયન નથી બીજે ક્યાંઇ, સહુ રહ્યાં છે પ્રભુમાં પ્રોવાઇ ।।૨૬।।
એવે સમે કૈલાસેથી ક્રોધી, આવ્યા દુર્વાસા દુરબુદ્ધિ ।
તેની નથી કોઇને ખબર, ઉભા થઇ રહ્યા ઘડિભર ।।૨૭।।
પછી દુર્વાસા દુઃખાણા ઘણું, ન થયું સન્માન પોતાતણું ।
વળતિ હૈયામાં વાત વિચારી, આ તો સર્વે દિસે છે અહંકારી ।।૨૮।।
જોને કેવી આવી છે કુમતિ, એમ કહીને કોપ્યા છે અતિ ।
રૂદ્રાંશ દીર્ઘ જેનો ક્રોધ, ચડ્યે ન માને બીજાનો બોધ ।।૨૯।।
તને તામસી મને રિસાળ, રહે રોષ જેને સદાકાળ ।
ક્ષમા નહિ ને ક્ષોભ અપાર, નહિ શાંતિ ને સહન લગાર ।।૩૦।।
એવા દુર્વાસા મહાઘોર, બોલ્યા કોપનાં વચન કઠોર ।
કહે સાંભળજયો સર્વેજન, જેહ બોલ્યા દુર્વાસા વચન ।।૩૧।।
કરી રિસમાં લોચન લાલ, ચડાવ્યાં વળી ભ્રકુટિ ભાલ ।
ધ્રુજે તન ફરફરે હોઠ, વાધ્યો વિકરાળ કાળકોઠ ।।૩૨।।
પછી સહુ પ્રત્યે બોલ્યા એમ, તમને ધર્મવાળા કહીએ કેમ ।
તમે માનમાં મસ્ત છો ઘણા, નથી તમને ભાર કોઇ તણા ।।૩૩।।
મને માનો છો સહુથી સરસ, બીજાને તો માનો છો નરસ ।
એવું અભિમાન તમને ઘણું, જોજયો ફળ હવે તેહ તણું ।।૩૪।।
હું દુર્વાસા આવ્યો દૂરથી, ન થયું સન્માન વિચારો ઉરથી ।
એવું જોઇ ક્ષમા ઉર લાવું, એવો શાંતિવાળો હું ન કહાવું ।।૩૫।।
મારૂં નામ સુણી શાંતિ નાસે, ક્ષમા આવે નહિ મુજ પાસે ।
એવો દુર્વાસા ઋષિ હું છું, તે હવે દંડ તમને દઉં છું ।।૩૬।।
પુણ્ય પવિત્ર એવો આ દેશ, સેવે દેવાદિ મોટા મુનીશ ।
તેથી પડો હવે તતકાળ, થાવો મનુષ્યને ઘેર બાળ ।।૩૭।।
તમે મનુષ્ય દેહને ધરો, આજ પછી આવું નવ્ય કરો ।
ત્યાં અધર્મ ને કળિના જેહ, ભર્યા અસુર વસે છે તેહ ।।૩૮।।
તેથી દુઃખ પામો ઘણું ઘણું, એ ફળ મારા અપમાન તણું ।
પામો અસુરથી અપમાન આપ, પછી ન બોલ્યા આપી એ શાપ ।।૩૯।।
એવો મોટો બકોર સાંભળી, બિન્યા નારાયણ ધર્મ વળી ।
મુનિ ઉદ્ધવ સૌ ભય પામ્યા, દેખી દુર્વાસાને શિર નામ્યા ।।૪૦।।
ઉઠી આસનથી તેહ વાર, કરે બહુ પેર્યે નમસ્કાર ।
આદર સહિત વિનતિ જેહ, કરે શાંતિ પમાડવા એહ ।।૪૧।।
તેમ તેમ ક્રોધ બહુ કર્યો, રોષ રતિ પણ ન ઉતર્યો ।
ત્યારે ધર્મ બોલ્યા નામી શીષ, મોટા મહામુનિ મ કરો રીષ ।।૪૨।।
ઋષિ જેનો હોય અપરાધ, દેવો દંડ તેનો નહિ બાધ ।
પણ વણ અપરાધે શાપ, ન દેવો મુનિ વિચારો આપ ।।૪૩।।
અમે સુણતાં હતાં સહુ વાત, કહેતા હતા નારાયણ સાક્ષાત ।
સર્વે રહ્યા હતા સામું જોઇ, ચિત્તવૃત્તિ પ્રભુજીમાં પ્રોઇ ।।૪૪।।
એવા સમામાં આવિયા તમે, તેણે ન થયું સન્માન અમે ।
માટે ક્ષમા અપરાધ કરો, મોટા મનમાં રોષ મ ધરો ।।૪૫।।
હોય ઋષિ બ્રાહ્મણનું અંતર, નવનિત સમ નિરંતર ।
માટે દયાળુ દયા કરીજે, અમને શાપ ટાળી સુખ દીજે ।।૪૬।।
એમ ધર્મ બોલ્યા શુભમતિ, કરી એવી પ્રાર્થના અતિ ।
ત્યારે બોલ્યા દુર્વાસા વાણ, મારો ક્રોધ ક્ષણિક મ જાણ ।।૪૭।।
આપી શાપ ને પાછો નિવારૂં, એવું જાણો માં અંતર મારૂં ।
પણ તમે તો છો ભક્તિવાન, વળી નમ્રતાવાળા નિદાન ।।૪૮।।
એવા દેખી દયા આવે અમને, માટે કહું સુણો ધર્મ તમને ।
પૂર્વ દેશે લેશો અવતાર, દ્વિજકુળમાંહિ નિરધાર ।।૪૯।।
ભક્તિ ધર્મ થાશો દો દંપતિ, થાશે પુત્ર આ જે બદ્રિપતિ ।
ત્યારે શાપનો તાપ ટળશે, અંતરે સુખશાંતિ વળશે ।।૫૦।।
પછી પામશો દિવ્ય ગતિને, એમ કહ્યું તે ધર્મ ભક્તિને ।
કહ્યું ઋષિ ઉદ્ધવને તે વાર, તમે લેશો દ્વિજમાં અવતાર ।।૫૧।।
જયાં જયાં હશો ત્યાં ત્યાંથી તણાઇ, આવશો પ્રભુ પાસળે ધાઇ ।
પછી નરવીરના સખા થાશો, મારા શાપથી તરત મુકાશો ।।૫૨।।
થાશે દિવ્ય ગતિ પાછી દેવ, પામશો સુખ કહું તતખેવ ।
એમ કહી દુર્વાસા મુનીશ, કર્યો કૈલાસ પ્રત્યે પ્રવેશ ।।૫૩।।
ચાલ્યા એવું કામ કરી આપ, પણ નાપ્યો તે મુનિએ શાપ ।
ધાર્યો સૌએ એ શાપને શીષ, માટે મોટાએ ન કરી રીષ ।।૫૪।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે દુર્વાસા શાપનામે સાતમું પ્રકરણમ્ ।।૭।।