પૂર્વછાયો-

એવું શ્રવણે સાંભળી, નરવીરે કર્યો વિચાર ।

એહ પાપને ટાળવા, મારે નિશ્ચે લેવો અવતાર ।।૧।।

ઋષિ તમે રાજી રહો, અધર્મ કરીશ ઉત્થાપ ।

સુખી કરીશ સૌ સંતને, તમે પરહરો પરિતાપ ।।૨।।

એમ કહી નરવીર ઋષિ, બેઠા એહ આશ્રમ ।

તેહ સમે નિજ સ્થાનથી, આવિયાં મૂર્તિ ને ધર્મ ।।૩।।

તેણે દેખી ઉભા થયા, સર્વે ઋષિ નારાયણ નર ।

દંડવત પ્રણામ કરી, કરે સ્તુતિ જોડી સહુ કર ।।૪।।

ચોપાઇ-

જોઇ ધર્મ ને મૂરતિ દોય, તેણે આનંદિયા સહુ કોય ।

શુદ્ધ સત્ત્વમય તનુ શાંતિ, શરદ પુન્યમ શશિસમ કાંતિ ।।૫।।

કંઠે કંજ તુલસીની માળ, પીળી જટાનો મુગટ વિશાળ ।

નવ નીરજસમ દોય નેણ, અતિ શાંતિવાન સુખદેણ ।।૬।।

પહેર્યાં શ્વેતાંબર તન શોભે, જોઇ જનતણાં મન લોભે ।

શોભે સુંદર રેખા બે હાથે, પહેરી સિત ઉપવીત નાથે ।।૭।।

એવા ધર્મ પરમ પાવન, તેનું મુનિ કરે છે સ્તવન ।

ધન્ય ધર્મ મહિમા તમારો, સર્વે લોકમાં સુજશ સારો ।।૮।।

હરિ હર બ્રહ્મા મન ભાવો, તમે સર્વેના ભૂષણ કહાવો ।

સુર સરવે ને વળી ઇંદ્ર, મનુ કશ્યપ ને રવિ ચંદ્ર ।।૯।।

કોઇ ત્યાગી ન શકે તમને, સર્વે મુનિને વહાલા છો મને ।

શેષ શારદા ને ગણપતિ, તમે સહુને વહાલા છો અતિ ।।૧૦।।

વાયુ વહ્નિ ને વળી વારિ, તે મર્યાદા ન લોપે તમારી ।

સપ્ત ઋષિ સતી પતિવ્રતા, સનકાદિક તમને સેવતા ।।૧૧।।

યોગી યતિ તપી તપ સાધે, તેતો સર્વે તમને આરાધે ।

ગૃહી વાનપ્રસ્થ ને સંન્યાસી, બ્રહ્મચારી તમારા ઉપાસી ।।૧૨।।

દ્વિજ ક્ષત્રિય ને વૈશ્ય ભજે, શુદ્ર તે પણ તમને ન તજે ।

પશુ પંખી પન્નગ નરનારી, સર્વે રહ્યાછે તમને ધારી ।।૧૩।।

તમને તે વંદે વેદ ચાર, ષટ્ શાસ્ત્ર પુરાણ અઢાર ।

કોઇ ન કરે તમારો ઉત્થાપ, મહામોટો તમારો પ્રતાપ ।।૧૪।।

તમને તજી કરે જેજે કાજ, તે તો ભષ્ટ થવાનો સમાજ ।

તમને તજી ભજે જે દેવ, તેતો તેની છે નિષ્ફળ સેવ ।।૧૫।।

તમને તજી ભજે ભગવાન, તોય તેટલું જાણવું જયાન ।

એવી મોટી છે તમારી લાજ, સર્વ લોકમાં તમારૂં રાજ ।।૧૬।।

પ્રભુ પ્રસન્ન કરવાને સારૂં, સહુ કરે સેવન તમારૂં ।

વળી આલોક પરલોકમાંય, સુખ થવા સેવે છે સદાય ।।૧૭।।

જેજે સુખી થયા થાશે કોય, તેતો ધર્મ વિના નિશ્ચે નોય ।

માટે શું કહીએ મુખે મહિમા, તમ તુલ્ય નહિ ત્રિલોકમાં ।।૧૮।।

એમ કરી તે પ્રશંસા બહુ, પછી આસને બેઠા છે સહુ ।

સર્વે નારાયણ સામું જોઇ, સહુએ ચિત્તની વૃત્તિ પરોઇ ।।૧૯।।

ધર્મ મૂર્તિ ને નરમુનિ, પ્રભુ સામી છે દ્રષ્ટિ સહુની ।

પછી નારાયણ પદ્મનેણ, બોલ્યા અમૃત સરિખાં વેણ ।।૨૦।।

ભલે આવ્યા તમે મારા તાત, ભલે આવિયાં મૂરતિ માત ।

થયું આજ પવિત્ર આશ્રમ, તમે પધાર્યા મૂરતિ ધર્મ ।।૨૧।।

પણ આ ઋષિ આવ્યા છે મળી, તેની વારતા લિયો સાંભળી ।

સ્વર્ગ મૃત્યુલોક ને પાતાળ, તેમાં વિચરે છે એ દયાળ ।।૨૨।।

હમણાં ભર્તખંડમાંથી આવ્યા, સર્વે પ્રજાની ખબર લાવ્યા ।

કહે છે અતિ વાધ્યો અધર્મ, ભ્રષ્ટ થયા છે વર્ણ આશ્રમ ।।૨૩।।

રાજા પ્રજા તજી સત્ય રીતી, આપ સ્વાર્થે કરે છે અનીતિ ।

ત્યાગી ગૃહી તજી નિજધર્મ, વિષય સારૂં કરે છે વિકર્મ ।।૨૪।।

નરનારી અપાર છે કામી, કરે ગોત્રમાં ગમન હરામી ।

નથી ધર્મમાં મતિ કોયની, એવી ખબર લાવ્યા આ મુનિ ।।૨૫।।

પ્રભુ વાત કરે છે એવી રીતે, સહુ સાંભળે છે એક ચિત્તે ।

શ્રવણ નયન નથી બીજે ક્યાંઇ, સહુ રહ્યાં છે પ્રભુમાં પ્રોવાઇ ।।૨૬।।

એવે સમે કૈલાસેથી ક્રોધી, આવ્યા દુર્વાસા દુરબુદ્ધિ ।

તેની નથી કોઇને ખબર, ઉભા થઇ રહ્યા ઘડિભર ।।૨૭।।

પછી દુર્વાસા દુઃખાણા ઘણું, ન થયું સન્માન પોતાતણું ।

વળતિ હૈયામાં વાત વિચારી, આ તો સર્વે દિસે છે અહંકારી ।।૨૮।।

જોને કેવી આવી છે કુમતિ, એમ કહીને કોપ્યા છે અતિ ।

રૂદ્રાંશ દીર્ઘ જેનો ક્રોધ, ચડ્યે ન માને બીજાનો બોધ ।।૨૯।।

તને તામસી મને રિસાળ, રહે રોષ જેને સદાકાળ ।

ક્ષમા નહિ ને ક્ષોભ અપાર, નહિ શાંતિ ને સહન લગાર ।।૩૦।।

એવા દુર્વાસા મહાઘોર, બોલ્યા કોપનાં વચન કઠોર ।

કહે સાંભળજયો સર્વેજન, જેહ બોલ્યા દુર્વાસા વચન ।।૩૧।।

કરી રિસમાં લોચન લાલ, ચડાવ્યાં વળી ભ્રકુટિ ભાલ ।

ધ્રુજે તન ફરફરે હોઠ, વાધ્યો વિકરાળ કાળકોઠ ।।૩૨।।

પછી સહુ પ્રત્યે બોલ્યા એમ, તમને ધર્મવાળા કહીએ કેમ ।

તમે માનમાં મસ્ત છો ઘણા, નથી તમને ભાર કોઇ તણા ।।૩૩।।

મને માનો છો સહુથી સરસ, બીજાને તો માનો છો નરસ ।

એવું અભિમાન તમને ઘણું, જોજયો ફળ હવે તેહ તણું ।।૩૪।।

હું દુર્વાસા આવ્યો દૂરથી, ન થયું સન્માન વિચારો ઉરથી ।

એવું જોઇ ક્ષમા ઉર લાવું, એવો શાંતિવાળો હું ન કહાવું ।।૩૫।।

મારૂં નામ સુણી શાંતિ નાસે, ક્ષમા આવે નહિ મુજ પાસે ।

એવો દુર્વાસા ઋષિ હું છું, તે હવે દંડ તમને દઉં છું ।।૩૬।।

પુણ્ય પવિત્ર એવો આ દેશ, સેવે દેવાદિ મોટા મુનીશ ।

તેથી પડો હવે તતકાળ, થાવો મનુષ્યને ઘેર બાળ ।।૩૭।।

તમે મનુષ્ય દેહને ધરો, આજ પછી આવું નવ્ય કરો ।

ત્યાં અધર્મ ને કળિના જેહ, ભર્યા અસુર વસે છે તેહ ।।૩૮।।

તેથી દુઃખ પામો ઘણું ઘણું, એ ફળ મારા અપમાન તણું ।

પામો અસુરથી અપમાન આપ, પછી ન બોલ્યા આપી એ શાપ ।।૩૯।।

એવો મોટો બકોર સાંભળી, બિન્યા નારાયણ ધર્મ વળી ।

મુનિ ઉદ્ધવ સૌ ભય પામ્યા, દેખી દુર્વાસાને શિર નામ્યા ।।૪૦।।

ઉઠી આસનથી તેહ વાર, કરે બહુ પેર્યે નમસ્કાર ।

આદર સહિત વિનતિ જેહ, કરે શાંતિ પમાડવા એહ ।।૪૧।।

તેમ તેમ ક્રોધ બહુ કર્યો, રોષ રતિ પણ ન ઉતર્યો ।

ત્યારે ધર્મ બોલ્યા નામી શીષ, મોટા મહામુનિ મ કરો રીષ ।।૪૨।।

ઋષિ જેનો હોય અપરાધ, દેવો દંડ તેનો નહિ બાધ ।

પણ વણ અપરાધે શાપ, ન દેવો મુનિ વિચારો આપ ।।૪૩।।

અમે સુણતાં હતાં સહુ વાત, કહેતા હતા નારાયણ સાક્ષાત ।

સર્વે રહ્યા હતા સામું જોઇ, ચિત્તવૃત્તિ પ્રભુજીમાં પ્રોઇ ।।૪૪।।

એવા સમામાં આવિયા તમે, તેણે ન થયું સન્માન અમે ।

માટે ક્ષમા અપરાધ કરો, મોટા મનમાં રોષ મ ધરો ।।૪૫।।

હોય ઋષિ બ્રાહ્મણનું અંતર, નવનિત સમ નિરંતર ।

માટે દયાળુ દયા કરીજે, અમને શાપ ટાળી સુખ દીજે ।।૪૬।।

એમ ધર્મ બોલ્યા શુભમતિ, કરી એવી પ્રાર્થના અતિ ।

ત્યારે બોલ્યા દુર્વાસા વાણ, મારો ક્રોધ ક્ષણિક મ જાણ ।।૪૭।।

આપી શાપ ને પાછો નિવારૂં, એવું જાણો માં અંતર મારૂં ।

પણ તમે તો છો ભક્તિવાન, વળી નમ્રતાવાળા નિદાન ।।૪૮।।

એવા દેખી દયા આવે અમને, માટે કહું સુણો ધર્મ તમને ।

પૂર્વ દેશે લેશો અવતાર, દ્વિજકુળમાંહિ નિરધાર ।।૪૯।।

ભક્તિ ધર્મ થાશો દો દંપતિ, થાશે પુત્ર આ જે બદ્રિપતિ ।

ત્યારે શાપનો તાપ ટળશે, અંતરે સુખશાંતિ વળશે ।।૫૦।।

પછી પામશો દિવ્ય ગતિને, એમ કહ્યું તે ધર્મ ભક્તિને ।

કહ્યું ઋષિ ઉદ્ધવને તે વાર, તમે લેશો દ્વિજમાં અવતાર ।।૫૧।।

જયાં જયાં હશો ત્યાં ત્યાંથી તણાઇ, આવશો પ્રભુ પાસળે ધાઇ ।

પછી નરવીરના સખા થાશો, મારા શાપથી તરત મુકાશો ।।૫૨।।

થાશે દિવ્ય ગતિ પાછી દેવ, પામશો સુખ કહું તતખેવ ।

એમ કહી દુર્વાસા મુનીશ, કર્યો કૈલાસ પ્રત્યે પ્રવેશ ।।૫૩।।

ચાલ્યા એવું કામ કરી આપ, પણ નાપ્યો તે મુનિએ શાપ ।

ધાર્યો સૌએ એ શાપને શીષ, માટે મોટાએ ન કરી રીષ ।।૫૪।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે દુર્વાસા શાપનામે સાતમું પ્રકરણમ્ ।।૭।।