ચોપાઇ-
જયજય ગાય મુનિ ગાથ, જયજય નરવીર નાથ ।
જયજય બદ્રિપતિ રાય, તવ ગુણ કહ્યા કેમ જાય ।।૧।।
જય દીનબંધુ ઋષિદેવ, જય અકળ નાથ અભેવ ।
જય કૃપાના સિંધુ કૃપાળુ, જય દયાના નિધિ દયાળુ ।।૨।।
જય પ્રભુ તમે જગદીશ, જય અખિલ બ્રહ્માંડાધીશ ।
જય આનંદકંદ અવતારી, જય સંતજન સુખકારી ।।૩।।
જય ધર્મસુત મહાધીર, જય જ્ઞાન વિજ્ઞાન ગંભીર ।
જય અતિ અજીત અભેદ, જય કહે નેતિ નેતિ વેદ ।।૪।।
જય સુખનિધિ સિદ્ધ શ્યામ, જય સદા અક્રોધ અકામ ।
જય પુણ્ય પવિત્ર પ્રતાપ, જય નિર્દોષ ને નિષ્પાપ ।।૫।।
જય ધર્મતણા પ્રતિપાળ, જય ભારતપતિ ભૂપાળ ।
જય પાપ ઉત્થાપન આપ, જય સંત હરણ સંતાપ ।।૬।।
જય ખળબળ ખંડનહાર, જય ભૂમિ ઉતારણ ભાર ।
જય દુષ્ટતન દંડધાર, જય નિજજન કાજ સુધાર ।।૭।।
જય અકળ બળ અવિનાશી, જય પીંડ બ્રહ્માંડ પ્રકાશી ।
જય કાળતણા મહાકાળ, જય ભૂપતિ પતિ ભૂપાળ ।।૮।।
જય મહાદુષ્ટ મોડણ માન, જય ભક્તવત્સલ ભગવાન ।
જય અક્ષરધામી અકામી, જય સર્વતણા તમે સ્વામી ।।૯।।
જય અવતારના અવતારી, મત્સ્ય કચ્છ વારાહ મુરારી ।
જય નૃહરિ વામન નાથ, જય પરશુરામ રઘુનાથ ।।૧૦।।
જય હલધર કૃષ્ણ કૃપાળુ, જય બુદ્ધ કલકી દયાળુ ।
જય અલેખધર અવતાર, જય અકળ સર્વ આધાર ।।૧૧।।
એવા અનેક ધરી શરીર, બેસો બદ્રીતળે બેઉ વીર ।
રહો તાપસ વેષે હમેશ, જટા મુકુટ સુંદર શીશ ।।૧૨।।
દંડ કમંડલું મૃગછાલા, ઊર્ધ્વપુંડ્ર ને અક્ષની માલા ।
ઉપવીત પુનિતને ધારી, સદા ભાઇ બેઉ બ્રહ્મચારી ।।૧૩।।
સુખસાગર શાન્તિ સ્વરૂપ, દયાળુ દીનબંધુ અનુપ ।
જય નિજજન સુખદાતા, જય નરનારાયણ ભ્રાતા ।।૧૪।।
જય અછેદ્ય અભેદ્ય અતિ, જય બળ અકળ મુરતિ ।
જય તેજ અત્યંત મહંત, જય અજર અમર અનંત ।।૧૫।।
જય ગુણસાગર ગોવિંદ, જય સુંદર શ્યામ સ્વચ્છંદ ।
જય દાસના પાશ વિનાશ, જય અમાયિક અવિનાશ ।।૧૬।।
જય નિજજન જીવન પ્રાણ, જય મહા સુખરૂપ મેરાણ ।
મળી મુનિ કરે એ ઉચ્ચાર, વર્તી રહ્યો ત્યાં જયજયકાર ।।૧૭।।
એમ સ્તુતિ કરી મુનિવૃંદ, નિરખી નાથને પામ્યા આનંદ ।
કરી સ્તવન દંડપ્રણામ, પુરી કરી તે હૈયાની હામ ।।૧૮।।
પછી હાથ જોડી બેઠા પાસ, થઇ અંતરદષ્ટિ ઉજાસ ।
શ્રીનારાયણ કૃપાએ કરી, વૃત્તિ અંતરમાંહિ ઉતરી ।।૧૯।।
દિઠું અક્ષરધામ અલોકી, પામ્યા સુખ તેહને વિલોકી ।
દિઠો તેજતણો ત્યાં અંબાર, તેહ મધ્યે સિંહાસન સાર ।।૨૦।।
તિયાં બેઠા દીઠા બહુનામી, જેહ અક્ષરધામના ધામી ।
અતિ સુંદર મૂરતિ સારી, શોભાધામ શ્યામ સુખકારી ।।૨૧।।
તેને નિરખીને પામ્યા આનંદ, ફૂલ્યાં જેમ કુમોદની ચંદ ।
પછી બારે જોયું આવી જયારે, દીઠી તેની તે મુરતિ ત્યારે ।।૨૨।।
જેવા અક્ષરધામમાં દીઠા, તેવા દીઠા સનમુખ બેઠા ।
તેતો નારાયણનું છે કૃત્ય, એમાં નહિ કાંઇ અચરત્ય ।।૨૩।।
પછી પાયે લાગ્યા જોડી હાથ, ત્યારે મધુરી વાણ્યે બોલ્યા નાથ ।
હે મુનિયો ! ભલે આવ્યા તમે, તમને જોઇ રાજી થયા અમે ।।૨૪।।
તમારાં દરશનને કાજ, અમે ઇચ્છતાતા મુનિરાજ ।
મળવું તમારૂં દુર્લભ મને, થાય નહિ તે થોડે રે પુણ્યે ।।૨૫।।
ગોલોકાદિ ધામ કહીએ જેહ, યોગસિદ્ધિયો કાવે છે તેહ ।
તેથી વહાલા મુનિ તમે બહુ, સત્ય માનજયો વાત એ સહુ ।।૨૬।।
વળી શિવ બ્રહ્માદિક જેવા, આપે બલિદાન કરે સેવા ।
એહ તેહ મુજને છે પ્યારા, પણ તમે છો આતમા મારા ।।૨૭।।
તમે અહોનિશ ચિંતવો મને, જ્ઞાનબોધે તારો છો જીવોને ।
જપ તપ ને યોગ યગન, વ્રતાદિક બીજાં જેહ પુણ્ય ।।૨૮।।
તેહ સર્વે મળી જેહ કાવે, જેના સોળમા અંશમાં નાવે ।
માટે એનંુ નામ અભયદાન, બીજા નાવે તે એને સમાન ।।૨૯।।
માટે પરમાર્થી જાણ્યા અમે, મારા શુદ્ધ ભક્ત વળી તમે ।
માટે તમ જેવા કોઇ નથી, ઘણું કહીએ શું મુનિ મુખથી ।।૩૦।।
કહે કવિ સાંભળો સુજાણ, એમ બોલ્યા નારાયણ વાણ ।
અતિભાવે હેતે ભર્યાં વેણ, બોલ્યા કૃપાએ કમળનેણ ।।૩૧।।
પછી મુનિ બોલ્યા કરી સ્તુતિ, ધન્ય ધન્ય પ્રભુ પ્રાણપતિ ।
ધન્ય નરવીર અવતાર, બહુ જીવનો કર્યો ઉદ્ધાર ।।૩૨।।
ધન્ય પ્રકટ પૂરણચંદ, નિજજનને દેવા આનંદ ।
ધન્ય દીનબંધુ ભગવાન, મહાદુષ્ટનું મોડણ માન ।।૩૩।।
ધન્ય નરનારાયણ એક, તેનો જાણે વિરલા વિવેક ।
ધન્ય અકળ કળા તમારી, બેઉ બાંધવની બલિહારી ।।૩૪।।
ધન્ય સર્વ જન સુખકારી, દીનજનતણા દુઃખહારી ।
સર્વે જીવની કરવા સાર, તમે રહ્યા આ ધામ મોઝાર ।।૩૫।।
હવે નાથ કહીએ છીએ તમને, કહેવું ઘટે તે કહેજયો અમને ।
એમ કહી જોડ્યા હાથ જયારે, મુનિ પ્રત્યે પ્રભુ બોલ્યા ત્યારે ।।૩૬।।
મુનિ તમે ત્રિલોકને માંય, આવો જાવો તે આપ ઇચ્છાય ।
હમણાં કોણ લોકમાંથી આવ્યા, તેની શી શી ખબર તમે લાવ્યા ।।૩૭।।
ત્યારે મુનિ બોલ્યા જોડી હાથ, આવ્યા ભરતખંડ જોઇ નાથ ।
ત્યારે નારાયણ કહે ઋષિ, સર્વે મારી પ્રજા છે ખુશી ।।૩૮।।
ચારે વર્ણ ને ચારે આશ્રમ, સહુ વર્તે છે પોતાને ધર્મ ।
ભક્તિ ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય, એહ ઉપર કેવો અનુરાગ ।।૩૯।।
જેમ હોય તેમ કહો મુનિ, ભરતખંડના મનુષ્ય સહુની ।
એવાં સુણી પ્રભુજીનાં વેણ, સર્વે ઋષિએ ઢાળિયાં નેણ ।।૪૦।।
આવ્યાં નયણે નીર ભરાઇ, અતિશોક વ્યાપ્યો ઉરમાંઇ ।
થઇ ગદગદ કંઠે ગિરા, પછી બોલિયા છે રહી ધીરા ।।૪૧।।
સુણો નારાયણ નરભ્રાત, એની અમે ન કહેવાય વાત ।
ચારે વર્ણ ને ચારે આશ્રમ, તેણે ત્યાગી દીધા નિજ ધર્મ ।।૪૨।।
અસત્ય ગુરુએ અવળું બતાવી, દીધો અધર્મ ધર્મ ઠરાવી ।
રાજા ઉન્મત્ત થઇ અપાર, કર્યો સત્ય ધર્મનો સંહાર ।।૪૩।।
આપે પાપ કરે અણલેખે, તેમ પ્રજા કરે દેખાદેખે ।
નરનારી નિયમમાં નથી, કહીએ તેની ભુંડાઇ શું કથી ।।૪૪।।
એને જોઇ અમે મુનિરાજ, સહુ દુઃખીયા છીએ મહારાજ ।
એમ કહી આપે કર્યું રૂદન, કહું સાંભળજયો સહુ જન ।।૪૫।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ઋષિસ્તુતિ નામે છઠ્ઠું પ્રકરણમ્ ।।૬।।