ચોપાઇ-

જયજય ગાય મુનિ ગાથ, જયજય નરવીર નાથ ।

જયજય બદ્રિપતિ રાય, તવ ગુણ કહ્યા કેમ જાય ।।૧।।

જય દીનબંધુ ઋષિદેવ, જય અકળ નાથ અભેવ ।

જય કૃપાના સિંધુ કૃપાળુ, જય દયાના નિધિ દયાળુ ।।૨।।

જય પ્રભુ તમે જગદીશ, જય અખિલ બ્રહ્માંડાધીશ ।

જય આનંદકંદ અવતારી, જય સંતજન સુખકારી ।।૩।।

જય ધર્મસુત મહાધીર, જય જ્ઞાન વિજ્ઞાન ગંભીર ।

જય અતિ અજીત અભેદ, જય કહે નેતિ નેતિ વેદ ।।૪।।

જય સુખનિધિ સિદ્ધ શ્યામ, જય સદા અક્રોધ અકામ ।

જય પુણ્ય પવિત્ર પ્રતાપ, જય નિર્દોષ ને નિષ્પાપ ।।૫।।

જય ધર્મતણા પ્રતિપાળ, જય ભારતપતિ ભૂપાળ ।

જય પાપ ઉત્થાપન આપ, જય સંત હરણ સંતાપ ।।૬।।

જય ખળબળ ખંડનહાર, જય ભૂમિ ઉતારણ ભાર ।

જય દુષ્ટતન દંડધાર, જય નિજજન કાજ સુધાર ।।૭।।

જય અકળ બળ અવિનાશી, જય પીંડ બ્રહ્માંડ પ્રકાશી ।

જય કાળતણા મહાકાળ, જય ભૂપતિ પતિ ભૂપાળ ।।૮।।

જય મહાદુષ્ટ મોડણ માન, જય ભક્તવત્સલ ભગવાન ।

જય અક્ષરધામી અકામી, જય સર્વતણા તમે સ્વામી ।।૯।।

જય અવતારના અવતારી, મત્સ્ય કચ્છ વારાહ મુરારી ।

જય નૃહરિ વામન નાથ, જય પરશુરામ રઘુનાથ ।।૧૦।।

જય હલધર કૃષ્ણ કૃપાળુ, જય બુદ્ધ કલકી દયાળુ ।

જય અલેખધર અવતાર, જય અકળ સર્વ આધાર ।।૧૧।।

એવા અનેક ધરી શરીર, બેસો બદ્રીતળે બેઉ વીર ।

રહો તાપસ વેષે હમેશ, જટા મુકુટ સુંદર શીશ ।।૧૨।।

દંડ કમંડલું મૃગછાલા, ઊર્ધ્વપુંડ્ર ને અક્ષની માલા ।

ઉપવીત પુનિતને ધારી, સદા ભાઇ બેઉ બ્રહ્મચારી ।।૧૩।।

સુખસાગર શાન્તિ સ્વરૂપ, દયાળુ દીનબંધુ અનુપ ।

જય નિજજન સુખદાતા, જય નરનારાયણ ભ્રાતા ।।૧૪।।

જય અછેદ્ય અભેદ્ય અતિ, જય બળ અકળ મુરતિ ।

જય તેજ અત્યંત મહંત, જય અજર અમર અનંત ।।૧૫।।

જય ગુણસાગર ગોવિંદ, જય સુંદર શ્યામ સ્વચ્છંદ ।

જય દાસના પાશ વિનાશ, જય અમાયિક અવિનાશ ।।૧૬।।

જય નિજજન જીવન પ્રાણ, જય મહા સુખરૂપ મેરાણ ।

મળી મુનિ કરે એ ઉચ્ચાર, વર્તી રહ્યો ત્યાં જયજયકાર ।।૧૭।।

એમ સ્તુતિ કરી મુનિવૃંદ, નિરખી નાથને પામ્યા આનંદ ।

કરી સ્તવન દંડપ્રણામ, પુરી કરી તે હૈયાની હામ ।।૧૮।।

પછી હાથ જોડી બેઠા પાસ, થઇ અંતરદષ્ટિ ઉજાસ ।

શ્રીનારાયણ કૃપાએ કરી, વૃત્તિ અંતરમાંહિ ઉતરી ।।૧૯।।

દિઠું અક્ષરધામ અલોકી, પામ્યા સુખ તેહને વિલોકી ।

દિઠો તેજતણો ત્યાં અંબાર, તેહ મધ્યે સિંહાસન સાર ।।૨૦।।

તિયાં બેઠા દીઠા બહુનામી, જેહ અક્ષરધામના ધામી ।

અતિ સુંદર મૂરતિ સારી, શોભાધામ શ્યામ સુખકારી ।।૨૧।।

તેને નિરખીને પામ્યા આનંદ, ફૂલ્યાં જેમ કુમોદની ચંદ ।

પછી બારે જોયું આવી જયારે, દીઠી તેની તે મુરતિ ત્યારે ।।૨૨।।

જેવા અક્ષરધામમાં દીઠા, તેવા દીઠા સનમુખ બેઠા ।

તેતો નારાયણનું છે કૃત્ય, એમાં નહિ કાંઇ અચરત્ય ।।૨૩।।

પછી પાયે લાગ્યા જોડી હાથ, ત્યારે મધુરી વાણ્યે બોલ્યા નાથ ।

હે મુનિયો ! ભલે આવ્યા તમે, તમને જોઇ રાજી થયા અમે ।।૨૪।।

તમારાં દરશનને કાજ, અમે ઇચ્છતાતા મુનિરાજ ।

મળવું તમારૂં દુર્લભ મને, થાય નહિ તે થોડે રે પુણ્યે ।।૨૫।।

ગોલોકાદિ ધામ કહીએ જેહ, યોગસિદ્ધિયો કાવે છે તેહ ।

તેથી વહાલા મુનિ તમે બહુ, સત્ય માનજયો વાત એ સહુ ।।૨૬।।

વળી શિવ બ્રહ્માદિક જેવા, આપે બલિદાન કરે સેવા ।

એહ તેહ મુજને છે પ્યારા, પણ તમે છો આતમા મારા ।।૨૭।।

તમે અહોનિશ ચિંતવો મને, જ્ઞાનબોધે તારો છો જીવોને ।

જપ તપ ને યોગ યગન, વ્રતાદિક બીજાં જેહ પુણ્ય ।।૨૮।।

તેહ સર્વે મળી જેહ કાવે, જેના સોળમા અંશમાં નાવે ।

માટે એનંુ નામ અભયદાન, બીજા નાવે તે એને સમાન ।।૨૯।।

માટે પરમાર્થી જાણ્યા અમે, મારા શુદ્ધ ભક્ત વળી તમે ।

માટે તમ જેવા કોઇ નથી, ઘણું કહીએ શું મુનિ મુખથી ।।૩૦।।

કહે કવિ સાંભળો સુજાણ, એમ બોલ્યા નારાયણ વાણ ।

અતિભાવે હેતે ભર્યાં વેણ, બોલ્યા કૃપાએ કમળનેણ ।।૩૧।।

પછી મુનિ બોલ્યા કરી સ્તુતિ, ધન્ય ધન્ય પ્રભુ પ્રાણપતિ ।

ધન્ય નરવીર અવતાર, બહુ જીવનો કર્યો ઉદ્ધાર ।।૩૨।।

ધન્ય પ્રકટ પૂરણચંદ, નિજજનને દેવા આનંદ ।

ધન્ય દીનબંધુ ભગવાન, મહાદુષ્ટનું મોડણ માન ।।૩૩।।

ધન્ય નરનારાયણ એક, તેનો જાણે વિરલા વિવેક ।

ધન્ય અકળ કળા તમારી, બેઉ બાંધવની બલિહારી ।।૩૪।।

ધન્ય સર્વ જન સુખકારી, દીનજનતણા દુઃખહારી ।

સર્વે જીવની કરવા સાર, તમે રહ્યા આ ધામ મોઝાર ।।૩૫।।

હવે નાથ કહીએ છીએ તમને, કહેવું ઘટે તે કહેજયો અમને ।

એમ કહી જોડ્યા હાથ જયારે, મુનિ પ્રત્યે પ્રભુ બોલ્યા ત્યારે ।।૩૬।।

મુનિ તમે ત્રિલોકને માંય, આવો જાવો તે આપ ઇચ્છાય ।

હમણાં કોણ લોકમાંથી આવ્યા, તેની શી શી ખબર તમે લાવ્યા ।।૩૭।।

ત્યારે મુનિ બોલ્યા જોડી હાથ, આવ્યા ભરતખંડ જોઇ નાથ ।

ત્યારે નારાયણ કહે ઋષિ, સર્વે મારી પ્રજા છે ખુશી ।।૩૮।।

ચારે વર્ણ ને ચારે આશ્રમ, સહુ વર્તે છે પોતાને ધર્મ ।

ભક્તિ ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય, એહ ઉપર કેવો અનુરાગ ।।૩૯।।

જેમ હોય તેમ કહો મુનિ, ભરતખંડના મનુષ્ય સહુની ।

એવાં સુણી પ્રભુજીનાં વેણ, સર્વે ઋષિએ ઢાળિયાં નેણ ।।૪૦।।

આવ્યાં નયણે નીર ભરાઇ, અતિશોક વ્યાપ્યો ઉરમાંઇ ।

થઇ ગદગદ કંઠે ગિરા, પછી બોલિયા છે રહી ધીરા ।।૪૧।।

સુણો નારાયણ નરભ્રાત, એની અમે ન કહેવાય વાત ।

ચારે વર્ણ ને ચારે આશ્રમ, તેણે ત્યાગી દીધા નિજ ધર્મ ।।૪૨।।

અસત્ય ગુરુએ અવળું બતાવી, દીધો અધર્મ ધર્મ ઠરાવી ।

રાજા ઉન્મત્ત થઇ અપાર, કર્યો સત્ય ધર્મનો સંહાર ।।૪૩।।

આપે પાપ કરે અણલેખે, તેમ પ્રજા કરે દેખાદેખે ।

નરનારી નિયમમાં નથી, કહીએ તેની ભુંડાઇ શું કથી ।।૪૪।।

એને જોઇ અમે મુનિરાજ, સહુ દુઃખીયા છીએ મહારાજ ।

એમ કહી આપે કર્યું રૂદન, કહું સાંભળજયો સહુ જન ।।૪૫।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ઋષિસ્તુતિ નામે છઠ્ઠું પ્રકરણમ્ ।।૬।।