રાગ સામેરી-

સારી કથા સુંદર અતિ, હું કહું કરી વિસ્તાર ।

જે જન મન દઇ સાંભળે, તે ઉતરે ભવપાર ।।૧।।

અમૃતવત જે આ કથા, શ્રુતિ દઇ જે સાંભળશે ।

અંગોઅંગ આનંદ વાધી, તાપ સંતાપ તે ટળશે ।।૨।।

પ્રકટ પુરૂષોત્તમનાં, ચરિત્ર પવિત્ર કહું અતિ ।

શ્રવણ દઇ જે સાંભળે, થાય તેની નિર્મળ મતિ ।।૩।।

પવિત્ર યશ જેની કીરતિ, પવિત્ર ગુણ કહેવાય છે ।

જે જન કહે ને સાંભળે, તે પણ પવિત્ર થાય છે ।।૪।।

પવિત્ર મહિમા પવિત્ર મોટ્યપ, પવિત્ર તેજ પ્રતાપ છે ।

ચિત્તે નિશદિન ચિંતવે, તે પણ જન નિષ્પાપ છે ।।૫।।

એવી કથા ઉત્તમ અતિ, સદ્મતિ ને સુખરૂપ છે ।

જેમ જેમ જન સાંભળે, તેમ તેમ વાત અનુપ છે ।।૬।।

એવી કથા આદરતાં, અતિ ઉમંગ છે મારે અંગે ।

અંગમાં આનંદ ઉલટ્યો, જાણું ક્યારે કહું ઉછરંગે ।।૭।।

જેમ ઉપવાસી જનને, આવે અમૃતનું નોતરૂં ।

તે પિવા પળ ખમે નહિ, જાણે કૈ વારે પાન કરૂં ।।૮।।

એમ થઇ છે અંતરે, હરિયશ કેવા હામ હૈયે ।

જાણું ચરિત્ર નાથનાં, અતિ ઉત્તમ ક્યારે કૈયે ।।૯।।

સુતાર્થી જેમ સુત પામે, ધનાર્થી પામે ધન વળી ।

વિદ્યાર્થી જેમ વિદ્યા પામે, તેમ એ વાત મને મળી ।।૧૦।।

અતિહર્ષ છે અંતરે, વળી આનંદ આવ્યો છે અંગમાં ।

સુંદર ચરિત્ર શ્રીહરિતણાં, કહું હવે ઉમંગમાં ।।૧૧।।

ધન્ય ધન્ય ધર્મ સુતની, પવિત્ર કથા કીરતિ ।

દુઃખ હરણી સુખ કરણી, થાય સુણતાં સદ્મતિ ।।૧૨।।

કથા અનુપમ છે અતિ, શુભમતિ જન સાંભળશે ।

અભાગી નર અવગુણ લઇ, વણ બાળ્યે બળી મરશે ।।૧૩।।

જવાસો જેમ જળ મળ્યે, જાય સમૂળો સુકાઇને ।

તેમ અભાગી આ કથાથી, દુષ્ટ જાશે દુઃખાઇને ।।૧૪।।

ખરને જેમ સાકર શત્રુ, પયપાક કુક્કુર કેમ ઝરે ।

ગિંગાને જેમ ગોળ ન ગમે, ઘી મિસરિથી કીટ મરે ।।૧૫।।

ખાતાં ખારેક જેમ હય દુઃખી, સુખ નોય કોટિ ઉપાય ।

સુખદ વસ્તુ એ છે સઇ, પણ દુર્ભાગીને દુઃખદાય ।।૧૬।।

તેમ અભાગી જીવને, યશ હરિના ઝેર છે ।

ખોટી વાતમાં મન ખુંચે, સાચી વાતશું વૈર છે ।।૧૭।।

સ્તન ઉપર ઇતડી, પય ન પિવે પિવે અસ્રકને ।

તેમ અભાગી જીવ જેહ, તે મોક્ષ ન ઇચ્છે ઇચ્છે નર્કને ।।૧૮।।

અભાગી જીવને જાણજયો, સારી લાગે તોપની સુખડી ।

પણ પલિતા લગી પ્રાણ છે, પંડ પળમાં જાશે પડી ।।૧૯।।

સંત સત્શાસ્ત્ર મળી વળી, સમઝાવે છે ઘણું ઘણું ।

પણ અભાગીને પ્રતીતિ નાવે, અવળું કરે છે આપણું ।।૨૦।।

પરાણે પિયુષ ન પિવે, વિષ પિવે વારતાં વળી ।

જેમ પતંગ પાવકમાંહી, ઝાલતાં મરે જળી ।।૨૧।।

એવા અભાગી જીવને, અરથે તે આ કથા નથી ।

હરિજનના હિતઅર્થે, હરિચરિત્ર કહેશું કથી ।।૨૨।।

જન્મ કર્મ દિવ્ય જેનાં, તેની કથા હવે આદરૂં ।

જેવી દિઠી મેં સાંભળી, તેવી રીતે વર્ણન કરૂં ।।૨૩।।

પૂરણ પુરૂષોત્તમની, ર્કીિત ઉત્તમ કહું કથી ।

બીજી કથા તો બહુ છે, પણ આ જેવી એકે નથી ।।૨૪।।

પ્રકટ ઉપાસી જનને, ધન છે દોયલા દનનું ।

સુતાં બેઠાં સંભારતાં, મટી જાય મળ મનનું ।।૨૫।।

હળવે પુણ્યે હોય નહિ, વળી હરિકથાનો યોગ ।

મોટે ભાગ્યે એ મળે, ટળે ભારે મહાભવ રોગ ।।૨૬।।

અસંખ્ય જન ઉદ્ધરે, હરિકથા સુણતાં કાન ।

અવશ્ય કરવું એજ છે, નરનારીને નિદાન ।।૨૭।।

ધન્ય ધન્ય શુભમતિ અતિ, જેને હરિકથામાં હેત ।

હરિચરિત્ર ચિંતવતાં, ટળે તાપ સંતાપ સમેત ।।૨૮।।

ભવરોગ અમોઘ જાણી, પ્રાણી કરે કોઇ વિચાર ।

એહ વિના ઔષધી એકે, નથી નિશ્ચય નિર્ધાર ।।૨૯।।

સુખનિધિ શ્રીહરિકથા, જન જાણજયો જરૂર ।

સત્ય મુનિ કહે સત્ય દેવતા, સુંણી ધારજયો સહુ ઉર ।।૩૦।।

સહુ જન મળી સાંભળો, કથા કહું મહારાજની ।

કુસંગીને કામ ન આવે, છે સત્સંગીના કાજની ।।૩૧।।

જેમ પ્રભુજી પ્રકટ્યા, જે દેશમાંહી દયાળ ।

જે ગામમાં અવતર્યા, નિજજનના પ્રતિપાળ ।।૩૨।।

જેહ કુળમાં ઉપજયા, જે કારણ છે અવતાર ।

જે જે કારજ કરીયાં, તે કહું કરી વિસ્તાર ।।૩૩।।

અધર્મને ઉત્થાપવા, મહાબળવંત શ્રીહરિ ગણ્યા ।

જે રીતે કળિમળ કાપ્યું, કહું જે રીતે દુષ્ટ હણ્યા ।।૩૪।।

જેહિ પેર્યે નિજજનને, આપ્યાં આનંદ અતિઘણાં ।

જીયાં જીયાં લીલા કરી, કહું તે સ્થળ સોહામણાં ।।૩૫।।

જેહિ પેર્યે આપે રહ્યા, જેમ રાખ્યા સંતને વળી ।

જેહિ પેર્યે હરિજન વરત્યા, નરનારી હરિને મળી ।।૩૬।।

જેટલા જન ઉદ્ધારિયા, શ્રીહરિ ધરી નરદેહને ।

જે જે સુખ આપ્યાં જનને, કહું અંતર ગત્યમાં એહને ।।૩૭।।

જેવી રીતે પૂર્યા પરચા, ત્યાગી ગૃહી નિજજનને ।

જેવી રીતે જન વચન માની, ભજયા શ્રીભગવનને ।।૩૮।।

જે જે સામર્થી વાવરી, વળી જે જે શક્કો બેસારિયો ।

જેહ રીતે કળીયુગ કાઢી, અધર્મસર્ગ નિવારિયો ।।૩૯।।

સર્વ ચરિત્ર શ્યામનાં, રસરૂપ અનુપમ છે અતિ ।

સુભાગી જન સાંભળશે, જેની હશે અતિ શુભમતિ ।।૪૦।।

જે જે નયણે નિરખિયું, વળી જે જે સુણિયું કાન ।

તે તે ચરિત્ર હવે કહું, સહુ સુણો થઇ સાવધાન ।।૪૧।।

અતિ મોટપ્ય મહારાજની, કહેતાં કોટિ વિચાર થાય છે ।

સાંગોપાંગ સૂચવતાં, મન કહેવા કાયર થાય છે ।।૪૨।।

આકાશના ઉડુગણ ગણવા, પામવો ઉત્તરનો પાર ।

સરૂં લેવું શૂન્યનું, એ વાતનો થાય વિચાર ।।૪૩।।

જેમ છે તેમ યશ હરિના, કહેવા સામર્થી મારી નથી ।

જેમ ઉર મારે ઉપજશે, તેમ ચરિત્ર કહીશ કથી ।।૪૪।।

અનુક્રમ આવે ન આવે, નથી તેનો નિરધાર ।

એવી ખોટ્ય માં ખોળજયો, સૌ સાંભળજયો કરી પ્યાર ।।૪૫।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ગ્રંથમાહાત્મ્ય નામે ત્રીજું પ્રકરણમ્ ।।૩।।