રાગ સામેરી-
સારી કથા સુંદર અતિ, હું કહું કરી વિસ્તાર ।
જે જન મન દઇ સાંભળે, તે ઉતરે ભવપાર ।।૧।।
અમૃતવત જે આ કથા, શ્રુતિ દઇ જે સાંભળશે ।
અંગોઅંગ આનંદ વાધી, તાપ સંતાપ તે ટળશે ।।૨।।
પ્રકટ પુરૂષોત્તમનાં, ચરિત્ર પવિત્ર કહું અતિ ।
શ્રવણ દઇ જે સાંભળે, થાય તેની નિર્મળ મતિ ।।૩।।
પવિત્ર યશ જેની કીરતિ, પવિત્ર ગુણ કહેવાય છે ।
જે જન કહે ને સાંભળે, તે પણ પવિત્ર થાય છે ।।૪।।
પવિત્ર મહિમા પવિત્ર મોટ્યપ, પવિત્ર તેજ પ્રતાપ છે ।
ચિત્તે નિશદિન ચિંતવે, તે પણ જન નિષ્પાપ છે ।।૫।।
એવી કથા ઉત્તમ અતિ, સદ્મતિ ને સુખરૂપ છે ।
જેમ જેમ જન સાંભળે, તેમ તેમ વાત અનુપ છે ।।૬।।
એવી કથા આદરતાં, અતિ ઉમંગ છે મારે અંગે ।
અંગમાં આનંદ ઉલટ્યો, જાણું ક્યારે કહું ઉછરંગે ।।૭।।
જેમ ઉપવાસી જનને, આવે અમૃતનું નોતરૂં ।
તે પિવા પળ ખમે નહિ, જાણે કૈ વારે પાન કરૂં ।।૮।।
એમ થઇ છે અંતરે, હરિયશ કેવા હામ હૈયે ।
જાણું ચરિત્ર નાથનાં, અતિ ઉત્તમ ક્યારે કૈયે ।।૯।।
સુતાર્થી જેમ સુત પામે, ધનાર્થી પામે ધન વળી ।
વિદ્યાર્થી જેમ વિદ્યા પામે, તેમ એ વાત મને મળી ।।૧૦।।
અતિહર્ષ છે અંતરે, વળી આનંદ આવ્યો છે અંગમાં ।
સુંદર ચરિત્ર શ્રીહરિતણાં, કહું હવે ઉમંગમાં ।।૧૧।।
ધન્ય ધન્ય ધર્મ સુતની, પવિત્ર કથા કીરતિ ।
દુઃખ હરણી સુખ કરણી, થાય સુણતાં સદ્મતિ ।।૧૨।।
કથા અનુપમ છે અતિ, શુભમતિ જન સાંભળશે ।
અભાગી નર અવગુણ લઇ, વણ બાળ્યે બળી મરશે ।।૧૩।।
જવાસો જેમ જળ મળ્યે, જાય સમૂળો સુકાઇને ।
તેમ અભાગી આ કથાથી, દુષ્ટ જાશે દુઃખાઇને ।।૧૪।।
ખરને જેમ સાકર શત્રુ, પયપાક કુક્કુર કેમ ઝરે ।
ગિંગાને જેમ ગોળ ન ગમે, ઘી મિસરિથી કીટ મરે ।।૧૫।।
ખાતાં ખારેક જેમ હય દુઃખી, સુખ નોય કોટિ ઉપાય ।
સુખદ વસ્તુ એ છે સઇ, પણ દુર્ભાગીને દુઃખદાય ।।૧૬।।
તેમ અભાગી જીવને, યશ હરિના ઝેર છે ।
ખોટી વાતમાં મન ખુંચે, સાચી વાતશું વૈર છે ।।૧૭।।
સ્તન ઉપર ઇતડી, પય ન પિવે પિવે અસ્રકને ।
તેમ અભાગી જીવ જેહ, તે મોક્ષ ન ઇચ્છે ઇચ્છે નર્કને ।।૧૮।।
અભાગી જીવને જાણજયો, સારી લાગે તોપની સુખડી ।
પણ પલિતા લગી પ્રાણ છે, પંડ પળમાં જાશે પડી ।।૧૯।।
સંત સત્શાસ્ત્ર મળી વળી, સમઝાવે છે ઘણું ઘણું ।
પણ અભાગીને પ્રતીતિ નાવે, અવળું કરે છે આપણું ।।૨૦।।
પરાણે પિયુષ ન પિવે, વિષ પિવે વારતાં વળી ।
જેમ પતંગ પાવકમાંહી, ઝાલતાં મરે જળી ।।૨૧।।
એવા અભાગી જીવને, અરથે તે આ કથા નથી ।
હરિજનના હિતઅર્થે, હરિચરિત્ર કહેશું કથી ।।૨૨।।
જન્મ કર્મ દિવ્ય જેનાં, તેની કથા હવે આદરૂં ।
જેવી દિઠી મેં સાંભળી, તેવી રીતે વર્ણન કરૂં ।।૨૩।।
પૂરણ પુરૂષોત્તમની, ર્કીિત ઉત્તમ કહું કથી ।
બીજી કથા તો બહુ છે, પણ આ જેવી એકે નથી ।।૨૪।।
પ્રકટ ઉપાસી જનને, ધન છે દોયલા દનનું ।
સુતાં બેઠાં સંભારતાં, મટી જાય મળ મનનું ।।૨૫।।
હળવે પુણ્યે હોય નહિ, વળી હરિકથાનો યોગ ।
મોટે ભાગ્યે એ મળે, ટળે ભારે મહાભવ રોગ ।।૨૬।।
અસંખ્ય જન ઉદ્ધરે, હરિકથા સુણતાં કાન ।
અવશ્ય કરવું એજ છે, નરનારીને નિદાન ।।૨૭।।
ધન્ય ધન્ય શુભમતિ અતિ, જેને હરિકથામાં હેત ।
હરિચરિત્ર ચિંતવતાં, ટળે તાપ સંતાપ સમેત ।।૨૮।।
ભવરોગ અમોઘ જાણી, પ્રાણી કરે કોઇ વિચાર ।
એહ વિના ઔષધી એકે, નથી નિશ્ચય નિર્ધાર ।।૨૯।।
સુખનિધિ શ્રીહરિકથા, જન જાણજયો જરૂર ।
સત્ય મુનિ કહે સત્ય દેવતા, સુંણી ધારજયો સહુ ઉર ।।૩૦।।
સહુ જન મળી સાંભળો, કથા કહું મહારાજની ।
કુસંગીને કામ ન આવે, છે સત્સંગીના કાજની ।।૩૧।।
જેમ પ્રભુજી પ્રકટ્યા, જે દેશમાંહી દયાળ ।
જે ગામમાં અવતર્યા, નિજજનના પ્રતિપાળ ।।૩૨।।
જેહ કુળમાં ઉપજયા, જે કારણ છે અવતાર ।
જે જે કારજ કરીયાં, તે કહું કરી વિસ્તાર ।।૩૩।।
અધર્મને ઉત્થાપવા, મહાબળવંત શ્રીહરિ ગણ્યા ।
જે રીતે કળિમળ કાપ્યું, કહું જે રીતે દુષ્ટ હણ્યા ।।૩૪।।
જેહિ પેર્યે નિજજનને, આપ્યાં આનંદ અતિઘણાં ।
જીયાં જીયાં લીલા કરી, કહું તે સ્થળ સોહામણાં ।।૩૫।।
જેહિ પેર્યે આપે રહ્યા, જેમ રાખ્યા સંતને વળી ।
જેહિ પેર્યે હરિજન વરત્યા, નરનારી હરિને મળી ।।૩૬।।
જેટલા જન ઉદ્ધારિયા, શ્રીહરિ ધરી નરદેહને ।
જે જે સુખ આપ્યાં જનને, કહું અંતર ગત્યમાં એહને ।।૩૭।।
જેવી રીતે પૂર્યા પરચા, ત્યાગી ગૃહી નિજજનને ।
જેવી રીતે જન વચન માની, ભજયા શ્રીભગવનને ।।૩૮।।
જે જે સામર્થી વાવરી, વળી જે જે શક્કો બેસારિયો ।
જેહ રીતે કળીયુગ કાઢી, અધર્મસર્ગ નિવારિયો ।।૩૯।।
સર્વ ચરિત્ર શ્યામનાં, રસરૂપ અનુપમ છે અતિ ।
સુભાગી જન સાંભળશે, જેની હશે અતિ શુભમતિ ।।૪૦।।
જે જે નયણે નિરખિયું, વળી જે જે સુણિયું કાન ।
તે તે ચરિત્ર હવે કહું, સહુ સુણો થઇ સાવધાન ।।૪૧।।
અતિ મોટપ્ય મહારાજની, કહેતાં કોટિ વિચાર થાય છે ।
સાંગોપાંગ સૂચવતાં, મન કહેવા કાયર થાય છે ।।૪૨।।
આકાશના ઉડુગણ ગણવા, પામવો ઉત્તરનો પાર ।
સરૂં લેવું શૂન્યનું, એ વાતનો થાય વિચાર ।।૪૩।।
જેમ છે તેમ યશ હરિના, કહેવા સામર્થી મારી નથી ।
જેમ ઉર મારે ઉપજશે, તેમ ચરિત્ર કહીશ કથી ।।૪૪।।
અનુક્રમ આવે ન આવે, નથી તેનો નિરધાર ।
એવી ખોટ્ય માં ખોળજયો, સૌ સાંભળજયો કરી પ્યાર ।।૪૫।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ગ્રંથમાહાત્મ્ય નામે ત્રીજું પ્રકરણમ્ ।।૩।।