રાગ સામેરી-

મંગળમૂર્તિ મહાપ્રભુ, શ્રી સહજાનંદ સુખરૂપ ।

ભક્તિ ધર્મ સુત શ્રીહરિ, સમરૂં સદાય અનુપ ।।૧।।

પરમ દયાળુ છો તમે, શ્રીકૃષ્ણ સર્વાધીશ ।

પ્રથમ તમને પ્રણમું, નામું વારમવાર હું શીષ ।।૨।।

અતિ સુંદર ગોલોક મધ્યે, અક્ષર એવું જેનું નામ છે ।

કોટિ સૂર્ય ચન્દ્ર અગ્નિ સમ, પ્રકાશક દિવ્ય ધામ છે ।।૩।।

અતિ શ્વેત સચ્ચિદાનન્દ, બ્રહ્મપુર અમૃત અપાર ।

પરમપદ આનન્દ બ્રહ્મ, ચિદાકાશ કહે નિર્ધાર ।।૪।।

એવા અક્ષરધામમાં તમે, રહો છો કૃષ્ણ કૃપાળ ।

પુરૂષોત્તમ વાસુદેવ નારાયણ, પરમાત્મા પરમ દયાળ ।।૫।।

પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર, વિષ્ણુ ઇશ્વર વેદ કહે વળી ।

એહ આદિ અનંત નામે, સુંદર મૂર્તિ શ્યામળી ।।૬।।

ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વકર્તા નિયંતા અંતર્યામી ।

સર્વકારણના કારણ નિર્ગુણ, સ્વયંપ્રકાશ સહુના સ્વામી ।।૭।।

સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા, મુક્ત અનંતકોટિ ઉપાસે મળી ।

અનંત કોટિ બ્રહ્માંડની કરો, ઉત્પત્તિ સ્થિતિ ને લય વળી ।।૮।।

પ્રકૃતિ પુરૂષ કાળ પ્રધાન, મહત્તત્ત્વાદિક શક્તિ ઘણી ।

તેના પ્રેરક અનંતકોટિ, બ્રહ્માંડના તમે ધણી ।।૯।।

એવા શ્રીકૃષ્ણ કિશોર મૂર્તિ, કોટિ કંદર્પ દર્પ હરો ।

આપ ઇચ્છાએ અવતરી, યુગોયુગ જનનાં કારજ કરો ।।૧૦।।

પ્રથમ મૂર્તિ ધર્મથી, પ્રગટ્યા પૂરણ કામ ।

નરનારાયણ નાથજી, તમે રહ્યા બદ્રિકા ધામ ।।૧૧।।

ત્યાર પછી વસુદેવ દેવકીથી, પ્રગટ્યા મથુરામાંય ।

અનંત અસુર સંહારવા, કરવા નિજ સેવકની સહાય ।।૧૨।।

ત્યાર પછી વળી જગમાં, અધર્મ વાધ્યો અપાર ।

ભક્તિ ધર્મને પીડવા, અસુરે લીધા અવતાર ।।૧૩।।

સત્ય વાત ઉત્થાપવા, આપવા ઉપદેશ અવળા ।

એવા પાપી પ્રગટ થયા, ઘરોઘર ગુરુ સઘળા ।।૧૪।।

ભક્તિ ધર્મ ભય પામિયાં, રહ્યું નહિ રહેવા કોઇ ઠામ ।

ત્યારે તમે પ્રગટિયા, કોસલ દેશમાં ઘનશ્યામ ।।૧૫।।

નરનાટક ધરી નાથજી, વિચરો વસુધામાંય ।

અજ્ઞાની જે અભાગિયા, તે એ મર્મ ન સમજે કાંય ।।૧૬।।

સમર્થ છો તમે શ્રીહરિ, સર્વોપરી સર્વાધાર ।

મનુષ્ય તન મહાજ્ઞાનઘન, જન મન જીતનહાર ।।૧૭।।

મહાધીર ગંભીર ગરવા, દયાસિંધુ દોષ રહિત ।

કરૂણાનિધિ કૃપાળુ કોમળ, શુભ શાન્તિગુણે સહિત ।।૧૮।।

ઉદાર પરઉપકારી અતિ, વળી સર્વના સુખધામ ।

દીનબંધુ દયાળુ દલના, પરમાર્થી પૂરણકામ ।।૧૯।।

જે જન તમને આશર્યા, હર્યા તેના ત્રિવિધ તાપ ।

કાળ કર્મ માયાથી મુકાવી, આપીયું સુખ અમાપ ।।૨૦।।

પીડે નહિ પંચ વિષય તેને, જે શરણ તમારૂં આવી ગ્રહે ।

કામ ક્રોધ લોભ મોહાદિ, અધર્મ ઉરમાં નવ રહે ।।૨૧।।

શૂન્યવાદી ને શુષ્કજ્ઞાની, નાસ્તિક કુંડ વામી વળી ।

એહના મતરૂપ અંધારૂં, તે તમારે તેજે ગયું ટળી ।।૨૨।।

ઇશ અજ અમરાદિ આપે, યોગી મન જીતે નહિ ।

તેહ તમારા પ્રતાપથી, નિજજન મન જીત્યા કહિ ।।૨૩।।

એવા સમર્થ શ્યામ તમે, બહુનામી બળ પ્રબળ છો ।

નરનાટયક જન મનરંજન, અજ્ઞાનીને અકળ છો ।।૨૪।।

નરતન માટે નાથજી, સ્વામી રામાનંદ સેવિયા ।

મહામંત્ર ત્યાં પામી પોતે, સદ્ગુરુના શિષ્ય થયા ।।૨૫।।

સહજાનંદ આનંદ કંદ, જગવંદ જેહનું નામ છે ।

સમરતાં અઘઓઘ નાશે, સંતને સુખધામ છે ।।૨૬।।

એવા નામને પામી આપે, અકળ આ અવનિ ફરો ।

દઇ દર્શન જનને, અનેક જીવનાં અઘ હરો ।।૨૭।।

એવા સમર્થ સ્વપ્રભુ, શ્રીહરિ શુદ્ધ બુદ્ધિ દીજીયે ।

નિજદાસ જાણી દીનબંધુ, કૃપાળુ કૃપા કીજીયે ।।૨૮।।

તવ ચરિત્ર ગાવા ચિત્તમાં, ઉમંગ રહે છે અતિ ।

શબ્દ સર્વે થાય સવળા, આપજયો એવી મતિ ।।૨૯।।

વળી સાચા સંતને હું, લળી લળી લાગું પાય ।

કરો કૃપા ગ્રંથ કરતાં, વિઘન કોઇ ન થાય ।।૩૦।।

હરિજન મન મગન થઇ, એવી આપજયો આશિષ ।

શ્રીહરિના ગુણ ગાતાં સુણતાં, હર્ષ વાધે હંમેશ ।।૩૧।।

સર્વે મળી સહાય કરજયો, મન ધારજયો મેર્ય અતિ ।

પ્રકરણ સર્વે એમ સુઝે, જેમ અર્કમાં અણુ ગતિ ।।૩૨।।

સંસ્કૃત પ્રાકૃત શબ્દે, ગ્રંથ કવિએ બહુ કર્યા ।

મનરંજન બુદ્ધિ મંજન, એવી રીતે અતિ ઓચર્યા ।।૩૩।।

ગદ્ય પદ્ય ને છંદ છપય, સાંભળતાં બુદ્ધિ ગળે ।

એવું જાણી આદર કરતાં, મન પોંચે નહિ પાછું વળે ।।૩૪।।

તેને તે હિંમત દીજીયે, લીજીયે હાથ હવે ગ્રહી ।

આદર કરૂં આ ગ્રંથનો, પ્રતાપ તમારો લઇ ।।૩૫।।

તમારા પ્રતાપ થકી, પાંગળો પર્વત ચડે ।

તમારા પ્રતાપ થકી, અંધને આંખ્યો જડે ।।૩૬।।

તમારા પ્રતાપ થકી, મુકો મુખે વેદ ભણે ।

તમારા પ્રતાપ થકી, રંક તે રાજા બણે ।।૩૭।।

એવો પ્રતાપ ઉર ધરી, આદરૂં છું આ ગ્રંથને ।

વિઘ્ન કોઇ વ્યાપે નહિ, સમરતાં સમર્થને ।।૩૮।।

હરિકથા હવે આદરૂં, સદ્મતિ શ્રોતા જે સાંભળે ।

શ્રવણે સુણતાં સુખ ઉપજે, તાપ તનના તે ટળે ।।૩૯।।

ભવ દુઃખહારી સુખકારી, સારી કથા આ અનુપ છે ।

પ્રગટ ઉપાસી જનને, સાંભળતાં સુખરૂપ છે ।।૪૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે મંગળાચરણ કર્યું એ નામે પ્રથમનું પ્રકરણમ્ ।।૧।।