(રાગ:-કડખો) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ.
સાચા ભકતની રીત સર્વે સાચી સહી, સાચાં સર્વે આચરણ એનાં…સાચા
ખાતાં પીતાં સુતાં જાગતાં જાણિયે, ઉપદેશ રૂપ અનુપ તેનાં.સાચા ।। ૧ ।।
હાલતાં ચાલતાં જોતાં માંય જોવું ખરું, લેતા દેતાં બોલતામાં કળી લૈયે;
જાતાં આવતાં પાસ વાસ વસતાં, કેમ ન કળાય એહ કહો તૈયે. સાચા ।। ૨ ।।
કરતાં ન કરતાં હરતાં ફરતાં, ગાતાં વાતાં વળી હસતાં હોયે;
રોતાં ધોતાં પોતાં પે’રતાં પરખિયે, છતાં વકતાં જાણો સુખદ સોયે. સાચા ।। ૩ ।।
જે જે આચરણ સાચા સંત આચરે, તે તે સર્વે છે વળી સુખકારી;
અખંડ ધામમાં એ જ પોં’ચાડે, નિષ્કુળાનંદ કહે છે વિચારી. સાચા ।। ૪ ।।