હરિજનને છે એક મોટું જયાનજી, જો આવી જાયે અંગ અભિમાનજી
તો ન ભજાય કે દી ભગવાનજી, પંડ્ય પોષવા રહે એક તાનજી
તાન રહે એક પંડ્ય પોષ્યાનું, ખાનપાનને રહે ખોળતા ।।
મળે તો મહાસુખ માને, ન મળે તો નાસે આંખ્યો ચોળતા ।। ૨ ।।
જેમ ભાંડ બાંડ ના’વે ભીડ્યમાં, કુલક્ષણાની જાણે કળા ।।
સો સો વાતે ના’વે સાંકડ્યે, વાદી વાદી નાસી જાય વેગળા ।। ૩ ।।
એમ નર અભાગિયા, કરે કળ છળ હુન્નર હજાર ।।
અનેક રીતે આવવા વળી, ન દિયે અંગે અજાર ।। ૪ ।।
કર્મવશ કોટિ કષ્ટ સહે, રહે રાત દિવસ રોસિવડો ।।
પણ સત્સંગમાં લેશ દુઃખ સહેતાં, જાય છે એનો જીવડો ।। ૫ ।।
અણ અર્થે અભાગિયો, દુર્મતિ અતિ દુઃખ દ્યોત ।।
પ્રભુ ભજતાં પગ ન માંડે, જેમ બેઠો કટિયે કપોત ।। ૬ ।।
કોટિ કોટિ શાસ્ત્ર સાંભળ્યા, વળી કોટિ કોટિ સાંભળશે ।।
અજ આવી ઉપદેશ દેશે, તોય ભૂલ્ય એની કાંઈ ટળશે ।। ૭ ।।
ગુરુ સહસ્ર ઘણું ઘણું, સમઝાવે છે સર્વે મળી ।।
પણ પકડ્યું પૂચ્છ નરે ખરનું, નથી મૂકતો વણશેલ વળી ।। ૮ ।।
આંટી પડી ઉરે અવળી, તે વાત ન સમઝે સવળી સહી ।।
ઝાલી ટેક ખાવા ઝેરની, તે મૂવા સુધી મૂકે નહિ ।।૯।।
મૂઠી વાળી જેમ મરકટે, ચપટી ચણાને કાજ ।।
નિષ્કુળાનંદ ફંદ પડિયો ગળે, પરવશ થયો પશુરાજ ।।૧૦।।