થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી, જેમ છે તેમ તે કહેવાણી નથીજી
વિસ્તારે વાત સુણજો પુરાણથીજી, એ જેવા થયા કૈ અધિક એક એકથીજી
એક એકથી અધિક થયા, કૈક ઋષિ કૈક રાજન ।।
તે પ્રસિદ્ધ છે પુરાણમાંયે, સહુ માનજો જન મન ।। ૨ ।।
કઠણ કસણી સહી શરીરે, કાઢ્યો મેલ માંહેલો માયાતણો ।।
ત્રણ ગુણ પંચવિષય વાસના, કર્યો ત્યાગ તેનો તને મને ઘણો ।। ૩ ।।
અખંડ વરતે નિત્ય અંતરે, બાહ્ય દષ્ટને સમેટી વળી ।।
જેમ વરસે જળ અચળ પર, પણ નીચી ભૂમિએ આવે ઢળી ।। ૪ ।।
તેમ વૃત્તિયો સર્વે વળી, મળી આવી તે અંતરમાંયે ।।
પછી મૂર્તિ મેલી મહારાજની, જાયે ન આવે કયાંયે ।। ૫ ।।
માલ મળ્યો મોટો ઘણો ઘરમાં, તેના અમલનો આનંદ રહે ।।
મેલી ચંદન મળિયાગરુ, વળી વેઠે કોયલા કોણ વહે ।। ૬ ।।
એવાં સુખ સંસારનાં, જાણો કુચ્ય કોયલા સમાન ।।
કાળપ્ય આપે ખંજોળી સંતાપે, વળી ના’પે સુખ નિદાન ।। ૭ ।।
એવા સુખને અભાગિયા, રાત દિવસ રૂવે છે રહ્યા ।।
પણ વાત નથી વિચારતા, જે ઠાલે હાથે કૈક ગયા ।। ૮ ।।
મહા દુઃખે જે સુખ મળે, તે પણ ટળી વળી જાય ।।
એવા સુખને અજ્ઞ જન વિન, કહો ભાઈ કોણ ચહાય ।।૯।।
એમ આગળ રાય ઋષિએ, સમજીને કીધો છે ત્યાગ ।।
નિષ્કુળાનંદ કહે નર અભાગીને, નથી ઊપજતો વૈરાગ ।।૧૦।।