પછી એના શિષ્ય થયા ભૂપાળજી, એમ કરતાં પાછો પડી ગયો કાળજી

આવ્યા એ ચોરટા સાધુ થઈ ઘાલી માળજી, તેને ઓળખ્યા જયદેવે તતકાળજી

તતકાળ એને ઓળખી, બહુ બહુ કરાવે છે સેવ ।।

ત્યારે ચોરટે પણ જાણિયું, આ ખરો ખૂની જયદેવ ।। ૨ ।।

આવ્યા અરિના હાથમાં, હવે ઊગર્યાની આશા સહિ ।।

જોઈ અપરાધ આપણો, માર્યા વિના એ મૂકે નહિ ।। ૩ ।।

પાપીને પાપ પોતા તણાં, આવ્યાં નજરે તે નિરધાર ।।

કહો ભાઈ કેમ કરશું, એમ ચિંતવે છે ચોર ચાર ।। ૪ ।।

પછી ચોરે ચાલવાનું કર્યું, ત્યારે અપાવ્યાં ઘઉં ગાડાં ભરી ।।

આગળ જઈ કયાંક ઊતર્યા, ગાડાવાળાને વાત કરી ।। ૫ ।।

જયદેવ જાતનો ઝાંપડો, રાજાના ગુન્હામાં આવ્યો હતો ।।

અમને સોંપ્યો હતો મારવાને, ત્યારે અમે મેલ્યો એને જીવતો ।। ૬ ।।

તે ગુણે આપ્યાં ઘઉંનાં ગાડલાં, વળી બીન્યો પણ મનમાં સહી ।।

જાણ્યું એમ મારી જાતનું, રખે રાજાને આપે કહી ।। ૭ ।।

એમ કહેતાં ફાટી અવનિ, પહોંચ્યા ચોર ચારે પાતાળ ।।

ગાડાં વાળી ઘેર લાવિયા, કહ્યું વૃત્તાંત થયું તેહ કાળ ।। ૮ ।।

ત્યારે જયદેવે ઘસ્યા કર ચરણને, થયા સાજા તે સમયે સોય ।।

જુવો વિચારી જન મને, એવા ક્ષમાવાન કોણ હોય ।।૯।।

સાચા જન તેને જાણિયે, ખરી ક્ષમા રાખે મનમાંયે ।।

નિષ્કુળાનંદના નાથને, એથી વા’લું નથી બીજું કાંયે ।।૧૦।।