વૈરાગ્ય વિના તનસુખ ન તજાયજી, તનસુખ તજયા વિના હરિ ન ભજાયજી

હરિ ભજયા વિના ભકત ન નીપજાયજી, લીધી મેલી વાતે ભકતપણું લજાયજી

લજજા જાય આલોકમાં, પરલોકે પણ પહોંચે નહિ ।।

એવી ભકત આદરતાં, કહો ભાઈ કમાણી સહી ।। ૨ ।।

જેમ કેશરિયાં કોઈ કરી ચાલે, ઘાલે કાખમાં કોળી તરણની ।।

કામ પડે કો’ કેમ આવે, પ્રતીતિ એના મરણની ।। ૩ ।।

જેમ સતી ચાલી બા’રે બળવા, ભેળાં ભરી લિયે જળ માટલાં ।।

આગ્ય લાગે ઊઠી ભાગશે, હોલવી તરણનાં ત્રાટલાં ।। ૪ ।।

એમ ભકત થઈ ભગવાનનો, વળી કે’વાણો સહુથી ભલો ।।

પણ શરીર સુખરૂપી રાખિયો, મોટો મિયાંનો ગોખલો ।। ૫ ।।

જયારે વેચી હવેલી વિત્ત લઈ, ત્યારે આળિયાનો શો અર્થ છે ।।

પણ દગો છે એના દિલમાં, જે અંતે કરવો અનર્થ છે ।। ૬ ।।

એવા ભમરાળા ભકત ન થાયે, થાયે ભકત આગળ કહ્યા એવા ।।

જયારે સાત ભાત્યની કરી સુખડી, ત્યારે ન બગાડિયે કાચરિયે વિ’વા ।। ૭ ।।

દીધું આંધણ જયારે દૂધનું, તેહ માંહી મીઠું ઓરવું નહિ ।।

ખાતાં ન ખવાય દૂધ જાય, કહો તેમાં કમાણી સહી ।। ૮ ।।

ભલી ભકત આદરી, પામવા પુરુષોત્તમ સહી ।।

પછી પંડ સુખને ઇચ્છવું, એ તો વાત બને નહિ ।।૯।।

ખાવો ભૈરવ જપને જયારે, ત્યારે ખસતું ન મેલવું અંગ ।।

નિષ્કુળાનંદ જેમ દીવો દેખી, પાછો ન વળે પતંગ ।।૧૦।।