જેને ઉપાય કરવો હોય એહજી, તેને થાવું સહુથી નિઃસનેહજી

જેમ વરત્યા જનક જેહજી, કરતાં રાજય કે’વાણા વિદેહજી

વિદેહ કહેવાણા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય ।।

ઊઠ્યા જનક ભેટ્યા સહુને, ઘણે હેતે ઘાલી હૈયામાંય ।। ૨ ।।

પછી મળ્યા એક એકને, તેની પૂછી ઋષિયે વાત ।।

અમે ન સમજયા આ મર્મને, તમે સમઝાવો સાક્ષાત ।। ૩ ।।

ત્યારે જનક કહે આ દેહનો, નથી પળ એકનો વિશ્વાસ ।।

મળાય કેમ આ મુનિને, જયારે થઈ જાય તન નાશ ।। ૪ ।।

એમ કહીને પૂજા કરી, ભાવે કરાવ્યાં ભોજન ।।

પછી બેઠા સભા કરીને, પૂછ્યાં રૂડાં પ્રશન ।। ૫ ।।

ત્યાં મિથિલાપુરી પરજળી, ધાયાં સહુ સહુને ઘેર લોક ।।

જનક કહે મારું નથી જળતું, શાને કરું હું મને શોક ।। ૬ ।।

રાજ સાજ સુખ સંપત્તિ, વળી દેહ ગેહ દારા દામ ।।

એહ કોણ કેનાં કોણ આપણે, કોઈ કેને ન આવે કામ ।। ૭ ।।

અણ સમઝણે આપણું, સહુ માની રહ્યા મનમાંય ।।

જુવે વિચારી જીવમાં, તો નથી આપણું કાંય ।। ૮ ।।

એમ રાજયમાં રહી રાગ તજયો, એ છે લક્ષ લેવા જેવો ઘણો ।।

તુચ્છ પદાર્થ સારુ તણાવું, એવો જોઈએ નહિ મત આપણો ।।૯।।

ખાવા ખટરસ નરેશ સુતને, તોય ડોડાં દેખી ડગે દલ ।।

નિષ્કુળાનંદ એ કંગાલ છે, નથી આવ્યો રાજાનો અમલ ।।૧૦।।