વળી કહું એક જયદેવજીની વાતજી, સાંભળ્યા સરખી છે સારી સાક્ષાતજી

જેને ઘેર પદ્માવતી વિખ્યાતજી, કરે હરિભકત દોય દિવસ ને રાતજી

રાત દિવસમાં રાગે કરી, ગાય ગોવિંદગીત પ્રીતે કરી ।।

જાચી લાવે અન્ન તેહ જમે, આપે ભૂખ્યા જનને ભાવે કરી ।। ૨ ।।

બ્રાહ્મણ ને વળી ભકત હરિના, જાણી શિષ્ય થયાં કંઈ જન ।।

એમ કરતાં કયારેક કાળ પડ્યો, જડે નહિ જાચતાં અન્ન ।। ૩ ।।

પછી જયદેવ ચાલ્યા જાચવા, શિષ્ય પાસેથી જાચ્યું ધન ।।

તે લઈ આવતાં વાટમાં, મળ્યા મારગમાં દુરિજન ।। ૪ ।।

આવતાં ઓળખી એહને, જયદેવે વિચારી વાત ।।

આપું ધન તો તન ઊગરે, નહિ તો થાશે બેઉની ઘાત ।। પ ।।

કટાણે ને કઠેકાણે, તક જોઈ આવ્યા છે તેહ ।।

જરૂર મારશે જીવથી, એ વાતમાં નહિ સંદેહ ।। ૬ ।।

એમ જયદેવે વિચારી જીવમાં, આપી દીધું રાજી થઈ ધન ।।

ત્યારે ચારે ચોરે વિચારિયું, કાંઈક કપટ છે એને મન ।। ૭ ।।

માટે મારી નાખો એહને, તો જરે આ સઘળો માલ ।।

ત્યારે એક કહે કાપો હાથ પગને, એની મેળે મરશે બેહાલ ।। ૮ ।।

પછી હાથ પગ કાપી હાલિયા, મહાપાપીને નહિ મે’ર ।।

તિયાં આવ્યો એક નૃપતિ, વે’લ્યે બેસારી લઈ ગયો ઘેર ।। ૯ ।।

પછી રાજાએ એને ઓળખ્યા, જાણ્યા ભકત આ તે જયદેવ ।।

નિષ્કુળાનંદના નાથના વા’લા, જાણી કરે છે બહુ સેવ ।।૧૦।।