વળી કહું એક શિલોંચ્છવૃત્તિધારીજી, વીણે એક કણકણ ધર્મ વિચારીજી
ઋષિ ઋષિસુત ઋષિનારી સુતનારીજી, જમે દિન આઠમે એહ મળી વળી ચારીજી
ચારે બેઠાં જયારે જમવાને, હતો સાથુ શેર જુગલ ।।
ત્યાં ધર્મ ધરી રૂપ દ્વિજનું, તક જોઈ આવ્યા તેહ પલ ।। ૨ ।।
આવી કહ્યું આપો અન્ન મને, હું ભૂખ્યો છઉં બ્રહ્મન્ન ।।
ત્યારે ઋષિએ આદરે આપિયું, પોતાના ભાગનું અન્ન ।। ૩ ।।
પછી આપ્યું ઋષિપત્નીએ, આપ્યું ઋષિસુતે કરી પ્યાર ।।
પછી આપ્યું એની નારીએ, થયાં અન્ન વિના એ ચાર ।। ૪ ।।
અન્ન વિન દિન આઠ ગયા, પાછી આઠે પણ નહિ આશ ।।
તોય ચારે રાજી રહ્યાં, વળી કોઈ ન થયાં ઉદાસ ।। પ ।।
આપ્યું અન્ન અભ્યાગતને, જળ ઢળ્યું ધોયેલ કર ચર્ણનું ।।
તેમાં આળોટ્યો આવી નોળિયો, થયું અર્ધુ અંગ સુવર્ણનું ।। ૬ ।।
એવું શુદ્ધ અન્ન એહનું, તે જમિયા વૃષભ વળી ।।
રાજી થયા ઋષિ ઉપરે, જાણું આપું સમૃદ્ધિ સઘળી ।। ૭ ।।
ત્યારે દ્વિજ પલટી ધર્મ થયા, માગો માગો તમે મુજ પાસ ।।
ત્યારે દ્વિજ કહે ધન્ય ધર્મ તમે, આપો તમારા ધામમાં વાસ ।। ૮ ।।
એમ સમે આવી કોઈ અન્ન જાચે, વળી હોયે ક્ષુધાએ આતુર ।।
પોં’ચ્ય પ્રમાણે આપવું, રાજી થઈ જન જરૂર ।।૯।।
અન્ન ન આપે ઉત્તર આપે, કાં તો સંતાપે કઠણ કહી ।।
નિષ્કુળાનંદ હરિજનની, એવી રીત જોઈએ નહિ ।।૧૦।।