એ કહ્યા સરવે પરોક્ષ હરિજનજી, એને કેને પ્રગટ નથી મળ્યા ભગવનજી

તોય કોઈ મોળા ન પડિયા મનજી, કહું વાર હજાર એને ધન્યધન્યજી

ધન્ય ધન્ય એહ જનને, જેણે શીશ સાટે સોદો કર્યો ।।

તજી છે આશ તન મનની, એવો ઉદ્યમ જેણે આદર્યો ।। ૨ ।।

લીધો સિંદોરો શીશ હાથમાં, તેહ સાથ જોવા કેમ રહે ।।

મરવાની તો બીક જ મટી, અસિઆગ્યનો ભાગ્યો ભહે ।। ૩ ।।

આગળ ચાલતાં આનંદ અતિ, આવે ઝટ દઈ રણઝુંપ રે ।।

એક લડી મરે એક બળી ટળે, માને બેઉ વાત અનૂપ રે ।। ૪ ।।

તેમ જ સાચા સંતને, તજી જોઈએ તે તનની આશ ।।

દેહરખા સરખા કાયરનર, તે તો કે દી ન હોય હરિદાસ ।। ૫ ।।

હરિદાસને હોય હિંમત ઘણી, ગણે તનને તરણા તોલ ।।

લાલચ મેલી આ લોકસુખની, પામવા વસ્તુ અમોલ ।। ૬ ।।

અચળ સુખમાં આવી ઘણી, પૂરણ વળી પ્રતીત ।।

અસત્ય સુખ પણ ઓળખ્યું, જાણ્યું જેવી છે એની રીત ।। ૭ ।।

પડ્યું પોતાને પારખું, ખરા ખોટાનું ખરાખરું ।।

સુખ ઘણું માન્યું ઘનશ્યામમાં, મેલ્યું અલ્પ સુખ અળગું પરું ।। ૮ ।।

શીદને ખાય ખાટી છાશને, મેલી પીયુષ રસ પ્રવાહ ।।

પટુ પાંબરી પરહરીને, કરે કોણ ચરમની ચાહ ।।૯।।

તેમ ભકત જકતનાં સુખ જોઈને, લોભાય નહિ લગાર ।।

નિષ્કુળાનંદ તેહ ભકત સાચા, ફેર નહિ રતી ભાર ।।૧૦।।