વળી કહું ઋષિ નારદ એક નકીજી, જેને પ્રતીત પ્રગટની છે પકીજી
આપે જ્ઞાન દાન જનને વિવેકીજી, પામ્યા ભવપાર અગણિત એહ થકીજી
અગણિત જીવ ઉદ્ધારવા, ફરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ ।।
જયાં જયાં હોય જીવ જીજ્ઞાસુ, ત્યાં ત્યાં જાય તતકાળ ।। ૨ ।।
એમ કરતાં આવિયા, નારદ નારાયણ સર ।।
દીઠા સામટા સહસ્ર દશ, દક્ષ પ્રજાપતિના કુંવર ।। ૩ ।।
તેને ઉપદેશ આપી કાપી, સંસાર સુખની આશ ।।
તેહ સાંભળી દક્ષ દિલે, અતિશે થયો ઉદાસ ।। ૪ ।।
ત્યાર પછી એક સહસ્રને, ઉપજાવી મૂકયાં એહ સ્થાન ।।
તેને પણ તેના ભાઈના જેવું, આપ્યું છે નારદે જ્ઞાન ।। ૫ ।।
તે સુણી દક્ષ દિલગીર થયો, આપ્યો નારદજીને શાપ ।।
મુહૂર્ત ઉપર તમે જયાં રહો, ત્યાં મૃત્યુ પામજો આપ ।। ૬ ।।
આપ એ શાપ ચડાવી શિર ઉપરે, આપે છે હજી ઉપદેશ ।।
એહના જેવો આગ્રહ, હરિજનને જોઇએ હંમેશ ।। ૭ ।।
કે’વી વાત હરિકૃષ્ણની, હેત દેખાડી હૈયાતણું ।।
કાઢી લેવો કાળમુખથી, એવો ઉપકાર કરવો ઘણું ।। ૮ ।।
ચોખે મારગે ચલાવતાં, કોઈને ગમે કે નવ ગમે ।।
કહ્યામાં કસર નવ રાખવી, સુખ દુઃખ સમે વસમે ।।૯।।
આળસી ન બેસવું આપણે, હેતે કરવી હરિની વાત ।।
નિષ્કુળાનંદનો નાથજી, રહે રાજી તે પર દિન રાત ।।૧૦।।