અરુણી ઉપમન્યુ આપત્યધૌમ્યના શિષ્યજી, ગુરુ આગન્યામાં વરતે અહોનિશજી જાય અન્ન જાચવા હરખે હંમેશજી, આણી આપે ગુરુને નાપે ગુરુ તેને લેશજી
લેશ ન આપે જયારે શિષ્યને, શિષ્ય જાચે અન્ન પછી જઈ ।।
ત્યારે ગુરુ કહે ગરીબ ગૃહસ્થને, ફરી ફરી પીડવા નહિ ।। ૨ ।।
ત્યારે પય પળી પીને વળી, કરે છે તેહ નિરવાહ ।।
ત્યારે ગુરુએ પય વત્સફીણની, પાડી છે ચોખી નાહ ।। ૩ ।।
પછી ખાધાં તેણે ક્ષુધામાંહિ, અર્ક પાન થયા તેહ અંધ ।।
વનથી આવતાં વાટમાં, પડી ગયા છે કૂપ મધ્ય ।। ૪ ।।
આવ્યાની વેળા વહી ગઈ, ત્યારે ગોતવા ગુરુ નીસર્યા ।।
પોકાર કરતાં પડેલ કૂવામાં, સામસામા સાદ કર્યા ।। ૫ ।।
પછી કૂવામાંથી કાઢી કહ્યું, ઉપમન્યું તું છે મારો દાસ ।।
મને તે પ્રસન્ન કર્યો, હવે માગ્ય કાંઈક મુજ પાસ ।। ૬ ।।
એમ ગુરુની આગન્યા, જે પાળે પરમ સુજાણ ।।
નિરવિઘન તે નર થઈ, પામે પદ નિરવાણ ।। ૭ ।।
મન ગમતું મેલી કરી, રહે આજ્ઞાને અનુસાર ।।
તેજ શિષ્ય સાચા ખરા, બીજા સરવે સંતાપનાર ।। ૮ ।।
કુક્કર કાનના કીટ સરિખા, શિષ્ય ન થાવું સમઝી ।।
ગુરુ વાળે તેમ વળવું, અહંતા મમતા મનની તજી ।।૯।।
ગુરુકૃપાએ સુખ પામિયે, ગુરુકૃપાયે ઉપજે જ્ઞાન ।।
નિષ્કુળાનંદ ગુરુ કૃપા કરે, તો આપે અવિચળ દાન ।।૧૦।।