રાગ આશાધોળ –

ના’વ્યો સંદેશો નાથનોજીરે, જુવતી જોતાં જો વાટ (૨)  આશું થયું રે આપણે ।

આશું થયું રે આપણેજીરે, પ્રાણ રહેછે શામાટ (૨) ના’વ્યો૦ ।।૧।।

બાઈ મીન મરે જળ મૂકતાંજીરે, ધન્ય એ પ્રીત પરમાણ (૨) પિયુ વિયોગે પ્રમદા ।

પિયુ વિયોગે પ્રમદાજીરે, પાપી રહ્યા કેમ પ્રાણ (૨) ના’વ્યો૦ ।।૨।।

કુંજતણાં બાઈ બાળકાંજીરે, જુવે વાટ ષટ માસ (૨) અવધે ન આવે જો જનની ।

અવધે ન આવે જો જનનીજીરે, તજે તન થઈ નિરાશ (૨) ના’વ્યો૦ ।।૩।।

જીવન વિના જે જીવવુંજીરે, એતો અણઘટતી વાત (૨) નિષ્કુલાનંદના નાથ વિના

નિષ્કુલાનંદના નાથ વિનાજીરે, પંડડું નવ થયું પાત (૨) ના’વ્યો૦ ।।૪।। પદ ।।૬।।