રાગ: મેવાડો –

મથુરાં મ જાશો રે પ્રિતમ પાતળારે, નાખિ અમને નોધારાં મારા નાથ ।  જરૂરને જાવું રે હોય તિયાં તમનેરે, તો લેજો શ્યામળા અમનેરે સાથ; મથુરાં૦ ।।૧।।

પ્રીત કરીને રે પિયુજી મા પરહરોરે, રાખો પ્રિતમ અમનેરે પાસ । અળગાંને રે’તાંરે અધીર અતિ અમનેરે, વણ દિઠે રહે અંતર ઊદાસ; મથુરાં૦ ।।૨।।

જેમ મણિ વિના ફણિરે અણ દિઠે આંધળોરે, વળી કોઈ લિયે લોભિનું ધન ।  વણ મૃત્યુએ મૃત્યુ તેને માનવુંરે, જેનુ કાંઈ જાતું રહ્યું છે જીવન; મથુરાં૦ ।।૩।।

જળવાસી જીવરે જવાળામાં જીવે નહિરે, અમારે છે તમ વિના હરિ તેમ ।  નિષ્કુલાનંદનારે સ્વામીજી સુજાણ છોરે, અજાણ જે હોય તેને કે’વું એમ; મથુરાં૦ ।।૪।। પદ ।।૩।।