રાગ: મેવાડો –
મથુરાં મ જાશો રે પ્રિતમ પાતળારે, નાખિ અમને નોધારાં મારા નાથ । જરૂરને જાવું રે હોય તિયાં તમનેરે, તો લેજો શ્યામળા અમનેરે સાથ; મથુરાં૦ ।।૧।।
પ્રીત કરીને રે પિયુજી મા પરહરોરે, રાખો પ્રિતમ અમનેરે પાસ । અળગાંને રે’તાંરે અધીર અતિ અમનેરે, વણ દિઠે રહે અંતર ઊદાસ; મથુરાં૦ ।।૨।।
જેમ મણિ વિના ફણિરે અણ દિઠે આંધળોરે, વળી કોઈ લિયે લોભિનું ધન । વણ મૃત્યુએ મૃત્યુ તેને માનવુંરે, જેનુ કાંઈ જાતું રહ્યું છે જીવન; મથુરાં૦ ।।૩।।
જળવાસી જીવરે જવાળામાં જીવે નહિરે, અમારે છે તમ વિના હરિ તેમ । નિષ્કુલાનંદનારે સ્વામીજી સુજાણ છોરે, અજાણ જે હોય તેને કે’વું એમ; મથુરાં૦ ।।૪।। પદ ।।૩।।